RJD સ્થાપના દિવસઃ લાંબા સમય બાદ કાર્યકરોને મળ્યા લાલુ યાદવ, પાસવાનને કર્યા યાદ

RJD સ્થાપના દિવસઃ લાંબા સમય બાદ કાર્યકરોને મળ્યા લાલુ યાદવ, પાસવાનને કર્યા યાદ


– પોસ્ટર પર લાલુની વાપસીનો અર્થ રાજકારણમાં લાલુનું કમબેક થઈ શકે

નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર

આજે એટલે કે સોમવારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નો 25મો સ્થાપના દિવસ છે. પાર્ટીના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે લાંબા સમય બાદ આજે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. સ્થાપના દિવસના અવસર નિમિત્તે તેમણે પાર્ટીના કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે લોજપાના દિવંગત નેતા રામવિલાસ પાસવાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

મોટા ભાગે પોતાની જ પાર્ટીના પોસ્ટર્સથી દૂર રહેનારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ આ વખતે આ સમારંભના પોસ્ટર્સમાં ખૂબ જ નજરે ચડી રહ્યા છે. આ કાર્યક્રમના  અનુસંધાને પટના ખાતે લાગેલા એક પોસ્ટરમાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને દીકરો તેજસ્વી યાદવ જોવા મળે છે. પોસ્ટર પર લખ્યું છે કે, રાજદના 25મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ. બિહારના રાજકારણના જાણકારો કહી રહ્યા છે કે, પોસ્ટર પર લાલુની વાપસીનો અર્થ રાજકારણમાં લાલુનું કમબેક થઈ શકે. સાથે જ એવો સંદેશો પણ મળે છે કે, લાલુ વગર તેજસ્વીનો જાદુ નહીં ચાલે. 

ચૂંટણી દરમિયાન બેનર્સ દૂર કરાવાયેલા

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે તેજસ્વી યાદવ રાજદની કમાન સંભાળી રહ્યા હતા ત્યારે તેમની છબિ બેદાગ દેખાડવા માટે લાલુ યાદવની તસવીરવાળા તમામ બેનર, પોસ્ટર અને હોર્ડિંગ્સ દૂર કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ કેસમાં જેલમાં બંધ હતા. ત્યારે હવે પાર્ટીના પોસ્ટર્સ પર તેમના કમબેકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. 

Share: