PM કેર ફંડમાંથી ફરીદકોટ મોકલેલા 80માંથી 71 વેન્ટિલેટર ખરાબ, બે કલાક ચાલીને બધ થઇ જાય છે

PM કેર ફંડમાંથી ફરીદકોટ મોકલેલા 80માંથી 71 વેન્ટિલેટર ખરાબ, બે કલાક ચાલીને બધ થઇ જાય છે

ડોક્ટરોએ કહ્યું કે આ વેન્ટિલેચર પર વિશ્વાસ કરીને દર્દીઓનો જીવ જોખમમાં ના મુકી શકાય

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

પીએમ કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટરની ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સમાંથી પંજાબને આપવામાં આવેલા વેન્ટિલેટરનો એક મોટો જથ્થો ઉપયોગમાં લીધા વગરનો જ પડ્યો છે. જેની પાછળ વેન્ટિલેટરની ખરાબ ગુણવત્તાનું કારણ આપવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેન્ટિલેટર થોડો સમય કામ આપ્યા બાદ બંધ થઇ જાય છે.

ફરીદકોટના ગુરુ ગોવિદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્ટિલમાં આપવામાં આવેલા 80 વેન્ટિલેટરમાંથી 71 વેન્ટિલેટર ખરાબ છે. આ વેન્ટિલેટર્સ AgVa Healthcare દ્વારા પીએમ કેર ફંડ અંતર્ગત આપવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજના ડૉક્ટરોના કહેવા પ્રમાણે આ વેન્ટિલેટરની ગુણવત્તા ખરાબ છે અને ઉપયોગ સમયે 1-2 કલાકમાં જ તે બંધ થઈ જાય છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા આ વેન્ટિલેટરની ગુણવત્તા પર વિશ્વાસ મુકી શકાય તેમ નથી. જ્યારે આ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. આ વેન્ટિલેટરની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. આ મશીન બંધ થઈ જાય છે માટે તેઓ દર્દીઓના જીવને જોખમમાં ન મુકી શકે. 

આ બધા વચ્ચે પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને ખરાબ વેન્ટિલેટરના સમારકામ માટે એન્જિનિયર્સ અને ટેક્નિશિયન્સને કામ પર રાખવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે મેડિકલ કોલેજને પ્રાથમિકતાના આધાર પર 10 નવા વેન્ટિલેટર તાત્કાલિક આપવાનું પણ આશ્વાસન આપ્યું છે

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ગત વર્ષે 25 કરોડના ખર્ચે મોકલેલા 250 વેન્ટિલેટર પૈકીના કેટલાક હજુ પણ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડ્યા છે. તે પૈકીના કેટલાક મશીન વાપરવાના શરૂ કરવામાં આવ્યા તેમાં પણ મુશ્કેલી પડવા લાગી. આ સાથે જ પંજાબમાં વેન્ટિલેટર સંચાલિત કરનારા ટેક્નિશિયનની પણ તંગી છે.

Share: