One Nation, One Election:2018માં કાયદા પંચે આપી હતી સલાહ, જાણો કરેલ જોગવાઈ વિશે

One Nation, One Election:2018માં કાયદા પંચે આપી હતી સલાહ, જાણો કરેલ જોગવાઈ વિશે

કેન્દ્રની મોદી સરકારે શુક્રવારે (1 સપ્ટેમ્બર 2023) એક દેશ, એક ચૂંટણી(one-nation-one-election) પર એક સમિતિની રચના કરી છે, આ સમિતિના અધ્યક્ષ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી અટકળો છે કે આ સત્રમાં સરકાર એક દેશ, એક ચૂંટણી પર બિલ લાવવા જઈ રહી છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિનું નોટિફિકેશન પણ ગઈકાલે રજૂ કરવામાં આવી શકે છે.

મુખ્ય ઉદ્દેશ્ય?

સમિતિનો ઉદ્દેશ્ય એક દેશ, એક ચૂંટણીના કાયદાકીય પાસાઓની તપાસ કરવાનો છે જેથી તેનો અમલ કરતી વખતે કાયદાકીય અડચણો ઊભી ન થાય. આ સમિતિ સામાન્ય લોકોના અભિપ્રાય પણ લેશે. આ સિવાય તે તમામ બંધારણીય નિષ્ણાતો સાથે વાત કરશે અને વિવિધ રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરશે. આ સમિતિ દેશના તમામ મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. આ સંજોગોમાં અમે તમને જણાવીશું કે 2018માં બનેલા કાયદા પંચે એક દેશ, એક ચૂંટણીને લઈને શું કહ્યું હતું.

2018માં લો કમિશનનો રિપોર્ટ શું હતો?

કાયદા પંચે 2018માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અહેવાલમાં તેમણે દેશમાં ચૂંટણી યોજવાની હિમાયત કરતા કહ્યું કે, ‘ચૂંટણી દેશના વહીવટી, આર્થિક અને સામાજિક વિકાસ માટે અનુકૂળ રહેશે.’ કાયદા પંચે કહ્યું કે, વન નેશન, વન ઇલેક્શન ફાયદાકારક રહેશે કારણ કે તે દેશને સતત ચૂંટણીની સ્થિતિમાં રહેવાથી બચાવશે.

સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી થાય તો સરકારના નાણાંની બચત થશે

2018માં બનેલા આ કાયદા પંચે સ્પષ્ટ લખ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાથી જનતાના પૈસાની બચત થશે. તેમણે કહ્યું, આનાથી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો પરનો બોજ પણ ઓછો થશે. આ ઉપરાંત, સરકાર એ સુનિશ્ચિત કરવામાં સક્ષમ હશે કે સરકારી નીતિઓ સામાન્ય લોકો સુધી વધુ સારી રીતે પહોંચી શકે, કારણ કે એકવાર ચૂંટણીઓ થઈ જાય પછી સામાન્ય રીતે પાંચ વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં થાય.

પેટાચૂંટણીઓ પણ એકસાથે થવી જોઈએ

આ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રાલયે પણ પેટાચૂંટણીઓ એક સાથે કરાવવાનો આગ્રહ કર્યો હતો. પંચે કહ્યું, ‘પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાની પણ ભલામણ કરી છે, જેથી એક કેલેન્ડરમાં આવતી તમામ પેટાચૂંટણીઓ એકસાથે યોજી શકાય.’

તો 2018માં જ ચૂંટણી કેમ ન થઈ?

જ્યારે કાયદા પંચે તેનો અહેવાલ કેન્દ્રીય કાયદા મંત્રાલયને સુપરત કર્યો ત્યારે આ અહેવાલને એમ કહીને અટકાવી દેવામાં આવ્યો કે તેને બંધારણમાં સુધારાની જરૂર પડશે. પછી આ રિપોર્ટનો અમલ થઈ શક્યો નથી. આ સિવાય સૌથી મોટી સમસ્યા આ મુદ્દે દેશના તમામ રાજકીય પક્ષોને એક બેનર હેઠળ લાવવાની હતી, જે પ્રાયોગિક ધોરણે શક્ય જણાતું ન હતું.

અગાઉ એકસાથે ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

બંધારણના નિર્માણ બાદથી 1951-52, 1957, 1962 અને 1967માં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.

Share: