CM ઉદ્ધવ ઠાકરે કહ્યું- કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, લોકડાઉન અંગે કરી આ વાત

CM ઉદ્ધવ ઠાકરે કહ્યું- કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, લોકડાઉન અંગે કરી આ વાત

મુંબઇ, 2 એપ્રિલ 2021 શુક્રવાર

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાનાં કહેર દરમિયાન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. CMએ તેમના નિવેદનની શરૂઆતમાં કહ્યું હતું કે લોકડાઉન થશે કે નહીં, હું હમણાં તેનો જવાબ આપી રહ્યો નથી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોરોનામાં સ્થિતિ આવી જ રહી, લોકડાઉન અંગે વિચાર કરવામાં આવી શકે છે, આ બાબતને નકારી શકાય નહીં. CMએ કહ્યું કે આજે હું સંપૂર્ણ લોકડાઉનનો સંકેત આપી રહ્યો છું. લોકડાઉન લાગુ કરી રહ્યો નથી. હું 2 દિવસમાં તે અંગે ચર્ચા કર્યા પછી નિર્ણય કરીશ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે,”કડક નિયમો થોડા દિવસો માટે લાગુ કરવા પડશે, આગામી દિવસોમાં તેની માહિતી આપવામાં આવશે. જો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય તો તેનો વિચાર કરવો પડશે. હું એક-બે દિવસમાં નિવેદન આપીશ. તમને નોકરી મળી જશે, પણ જીવ ગયો તો તે પાછો નહીં આવે, લોકડાઉનનો બીજો વિકલ્પ શોધવો પડશે. જો આ રીતે કેસોમાં વધારો થતો રહ્યો, તો પછીના થોડા દિવસોમાં તમામ હોસ્પિટલ ભરાઇ જશે. તમામ રાજકીય લોકોને વિનંતી છે  કે તે આ અંગે રાજકારણ ન રમે.”

CM ઉદ્ધવે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકડાઉન થઈ શકે તેવી સંભાવના છે. આ સંભાવના હમણાં નકારી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે માર્ચ પહેલાથી જ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે.

મુખ્યપ્રધાનએ કહ્યું કે, જો કોઈએ મને વિલન બનાવવાનો પ્રયત્ન કર્યો તો પણ મને તેની ચિંતા નથી, પરંતુ મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું નિભાવીશ જ. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ઝડપી હોસ્પિટલો બનાવવામાં આવી હતી. મુંબઇમાં, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં દરરોજ 300 થી 400 દર્દીઓ આવતા હતા. આજે 8000 થી વધુ આવી રહ્યા છે.

Share: