ઇન્દીરાએ દેશ પર કટોકટી લગાવી તે અંગે રાહુલે કહ્યું- હા તે ભુલ હતી, પણ આજે જે થઇ રહ્યું છે તે…

ઇન્દીરાએ દેશ પર કટોકટી લગાવી તે અંગે રાહુલે કહ્યું-  હા તે ભુલ હતી, પણ આજે જે થઇ રહ્યું છે તે…

નવી દિલ્હી, 2 માર્ચ 2021 મંગળવાર

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી મંગળવારે પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમમાં લોકશાહી અને વિકાસના વિષયો પર સવાલ-જવાબ થયા. પ્રોફેસર કૌશિક બાસુ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઇમરજન્સી લાદવાની સાથે-સાથે હાલની રાજકીય પરિસ્થિતિ પર વાત કરી.

1975 માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સીનાં સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હા, તે ભૂલ હતી, પરંતુ તે પછી શું થયું અને આજે જે થઈ રહ્યું છે, તેમાં ફરક છે. પોતાની ભૂલ સ્વીકારવી એ હિંમતનું કાર્ય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમને સંસદમાં બોલવાની છૂટ નથી, ન્યાયતંત્ર તરફથી કોઈ આશા નથી, આરએસએસ-ભાજપ પાસે અપાર આર્થિક શક્તિ છે. વ્યવસાયોને વિપક્ષની તરફેણમાં ઉભા રહેવાની મંજૂરી નથી. લોકશાહીનાં વિચારો પર આ ઇરાદાપૂર્વકનો હુમલો છે. મણિપુરમાં, રાજ્યપાલ BJPને મદદ કરી રહ્યા છે, પુડુચેરીમાં, ઉપરાજ્યપાલે ઘણા બીલ પસાર થવા દીધા ન હતા, કારણ કે તે આરએસએસ સાથે સંકળાયેલા હતા. કોંગ્રેસે ક્યારેય સંસ્થાઓનો લાભ લેવાનો પ્રયાસ કર્યો નથી. હાલની સરકાર ભારતની લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે.

રાહુલ ગાંધીએ ક્હયું કે હું કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકતંત્રને પ્રોત્સાહિત કરવા માટે ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યો છું, તે માટે મારી જ પાર્ટીનાં લોકોએ મારી કટું ટીકા કરી હતીં, મેં પોતાની જ પાર્ટીનાં લોકોને કહ્યું કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર લાવવું ચોક્કસપણે જરૂરી છે, આધુનિક લોકશાહી વ્યવસ્થા એટલા માટે અસરકારક છે, કેમ કે તેમની પાસે સ્વતંત્ર સંસ્થાઓ છે, પરંતું ભારતમાં તે સ્વતંત્રતાઓ પર હુમલો થઇ રહ્યો છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે હું એક દાયકાથી કોંગ્રેસમાં આંતરિક લોકશાહીના પક્ષમાં છું. મેં યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોમાં ચૂંટણીને પ્રોત્સાહન આપ્યું છે. હું પહેલો વ્યક્તિ છું કે જેમણે પાર્ટીમાં લોકશાહી ચૂંટણીને મહત્વપૂર્ણ ગણાવી છે. અમારા માટે, કોંગ્રેસ એટલે સ્વતંત્રતા માટે લડનારી સંસ્થા, જેણે ભારતને બંધારણ આપ્યું છે. લોકશાહી અને લોકશાહી પ્રક્રિયાઓને જાળવી રાખવી આપણા માટે મહત્વપૂર્ણ છે.

Share: