પળભરમાં દુશ્મનોને કરી શકે છે ધ્વસ્ત, INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં થશે સામેલ

પળભરમાં દુશ્મનોને કરી શકે છે ધ્વસ્ત, INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં થશે સામેલ


– ભારતે સબમરીન બનાવનારા દેશ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી

નવી દિલ્હી, તા. 1 માર્ચ, 2021, સોમવાર

ભારતીય નૌસેના 10 માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી જ INS કલવરી અને INS ખાંદેરીને સેનામાં સામેલ કરેલી છે. મુંબઈ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) પર સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન INS કરંજને 2018ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી. 

INS કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે. કલવરી અને ખાંદેરી બાદ કરંજની તાકાત જોઈને દુશ્મનોને પરસેવો છૂટી જશે. કરંજ એક સ્વદેશી સબમરીન છે જેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવી છે. આ સાથે જ ભારતે સબમરીન બનાવનારા દેશ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. 

MDL ભારતીય નેવીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી ક્ષમતા સાથે પૂર્ણ કરનાર ભારતના પ્રમુખ શિપયાર્ડ પૈકીનું એક છે. 

કરંજની શક્તિ

સ્કોર્પિયન સબમરીન કરંજ દુશ્મનોને ચકમો આપીને ચોક્કસ નિશાન તાકી શકે છે. કરંજની આ ખૂબી ચીન અને પાકિસ્તાન જેવા દેશોની મુશ્કેલી વધારી દેશે. આ સાથે જ કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો પણ કરી શકે છે. તેમાં સપાટી પર પાણીની અંદરથી દુશ્મન પર હુમલો કરવાની ખાસીયત પણ છે. 

કરંજ સબમરીન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી અને 1565 ટન વજનની છે

દુશ્મનને શોધીને ચોક્કસ નિશાન તાકી શકે છે

કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો કરી શકે છે

રડારની પકડમાં નહીં આવી શકે કરંજ 

જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે કરંજ

કરંજ સબમરીન ઓક્સિન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે

લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે કરંજ સબમરીન

Share: