શબનમ ફાંસી કેસઃ અયોધ્યાના મહંતે કહ્યું ફાંસી આપવાથી આવશે મુશ્કેલીઓ

શબનમ ફાંસી કેસઃ અયોધ્યાના મહંતે કહ્યું ફાંસી આપવાથી આવશે મુશ્કેલીઓ


– રાષ્ટ્રપતિએ પોતાને મળેલી અસાધારણ શક્તિઓનો પ્રયોગ ક્ષમા આપવા કરવો જોઈએઃ પરમહંસ દાસ

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2021, સોમવાર

અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શબનમની ફાંસીની સજા માફ કરવા વિનંતી કરી છે. જો શબનમને ફાંસી આપવામાં આવે તો તે આઝાદી બાદ કોઈ મહિલાને ફાંસી આપ્યાનો પ્રથમ કેસ હશે. મહંત પરમહંસ દાસના કહેવા પ્રમાણે “હિંદુ શાસ્ત્રોમાં મહિલાનું સ્થાન પુરૂષ કરતા બહુ ઉંચુ છે. એક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલુ નહીં થાય, પરંતુ તેનાથી દુર્ભાગ્ય અને આપત્તિઓને આમંત્રણ મળશે. તેનો અપરાધ માફીને લાયક નથી તે વાત સાચી પરંતુ તેને મહિલા હોવાના કારણે માફ કરવી જોઈએ.”

મહિલાને ફાંસી દુર્ભાગ્યપૂર્ણ વાત

મહંતે આગળ કહ્યું કે, “હિંદુ ધર્મના ગુરૂ હોવાના નાતે હું રાષ્ટ્રપતિને વિનંતી કરૂં છું કે, શબનમની દયા અરજીને સ્વીકારી લે. તેણી પોતાના ગુનાનું પ્રાયશ્ચિત જેલમાં કરી ચુકી છે. જો તેને ફાંસી આપવામાં આવશે તો તે ઈતિહાસનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ અધ્યાય ગણાશે. આપણું બંધારણ રાષ્ટ્રપતિને અસાધારણ શક્તિઓ આપે છે, તેમણે આ શક્તિઓનો પ્રયોગ ક્ષમા આપવા કરવો જોઈએ.”

પરિવારના 7 સદસ્યોની હત્યા કરેલી

યુપીના અમરોહા જિલ્લાના બાબનખેડી ગામમાં 14-15 એપ્રિલ, 2008ની રાતે પ્રેમી સાથે મળીને પરિવારના 7 સદસ્યોની હત્યા કરનારી શબનમ અને તેના પ્રેમી સલીમને ફાંસી અપાશે. શબનમ જુલાઈ 2019થી રામપુર જેલમાં બંધ છે. 

Share: