મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : સતત બીજા દિવસે 6 હજાર કરતા વધારે કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : સતત બીજા દિવસે 6 હજાર કરતા વધારે કેસ નોંધાયા

મુંબઇ, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા ફરીથી ડરાવી રહ્યા છે. કોરોના વાયરસના આંકડામાં ત્યાં સતત વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે મહારાષ્ટ્રની અંદર 6000 કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 6281 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 40 લોકોના મોત થયા છે. 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાનગા જણાવ્યા પ્રમાણે ગત 24 કલાકની અંદર 2567 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. ઉલ્લેખનીય છે કે કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 20 લાખ 93 હજાર 913 કેસ નોંધાયા છે. જેમાંથી વર્તમાન સમયે 48,439 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં 51,753 લોકોના મોત થયા છે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં શનિવારે કોરોના વાયરસના 897 કેસ નોંધાયા છે. ડિસેમ્બર બાદ પહેલી વખત મુંબઇમાં કોરોના વાયરસના આટલા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 6112 કેસ સામે આવ્યા હતા. 

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં કોરોના વાયરસના 156 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. તો આ તરફ ઠાણે જિલ્લામાં કોરોનાના 471 નવા કેસ નોંધાયા છે. તો કોરોના વાયરસના કારણે જિલ્લામાં આઠ લોકોના મોત થયા છે. કોરોનાના વધતા કેસને લઇને પ્રશાસન અને સરકાર ફરીથી એક્શનમાં આવી છે. 

Share: