કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં ફરી પ્રતિબંધો : નાગપુરમાં હોટેલો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે, વર્ધામાં ફરીથી શાળાઓ બંધ

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં ફરી પ્રતિબંધો : નાગપુરમાં હોટેલો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે, વર્ધામાં ફરીથી શાળાઓ બંધ

મુંબઇ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધતાની સાથે જ પ્રશાસન એલર્ટ મોડ પર છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. મુંબઇ બાદ હવે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમોની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે હોટેલોને 50 ટાક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે. આ સાથે જ વર્ધામાં જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.

નાગપુર કોર્પોરેશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો એક બિલ્ડિંગમાં પાંચ કરતા વધારે કોરોના કેસ આવશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે જ જે લોકો હોમ ક્વોરેન્ટાઇન હશે તેમની હાથ પર સ્ટેમ્પ પમ લગાવવામાં આવશે. તો કોઇ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં 20 કરતા વધારે લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકાયો છે. 

નાગપુરમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 644 કેસ આવ્યા છે. તો 6 લોકોના મોત પણ થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 75 દિવસ બાદ રાજ્યમાં 5 હજાર કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન નાગપુર અને અકોલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોરોના કેસ મળ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિને લઇને સરકાર ફરીથી કડક પ્રતિબંધો લગાવવાની દિશામાં વિચારી રહી છે.

યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવારે રાતથી જ 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યારે અમરાવતીમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હાલના થોડા દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોના વાયરસના કુલ કેસના 75 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવ્યા છે.

Share: