દેશમાં બે-ચાર લોકોને ફાયદો કરાવવા માટે કૃષિ કાયદો બનાવામાં આવ્યો: રાજ્યસભામાં ગુંજ્યો કૃષિ કાયદાનો વિરોધ

દેશમાં બે-ચાર લોકોને ફાયદો કરાવવા માટે કૃષિ કાયદો બનાવામાં આવ્યો: રાજ્યસભામાં ગુંજ્યો કૃષિ કાયદાનો વિરોધ


– કપિલ સિબ્બલે કર્યા મોદી સરકાર પર આકરા પ્રહાર

– બજેટમાં કેટલાંક રાજ્યો પ્રત્યે પક્ષપાત : ચૂંટણી વાળા રાજ્યોને બજેટમાં વધુ લાભ

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

કૃષિ કાયદાને લઇને અવારનાવર વિપક્ષના નિશાને રહેલી કેન્દ્ર સરકારને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે ફરીવાર મોદી સરકારને ઘેરી છે. રાજ્ય સભામાં બજેટ 2021-22 પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આપણા દેશમાં કોઈપણ ક્ષેત્ર આત્મનિર્ભર નથી. દેશમાં બે-ચાર લોકોને ફાયદો કરાવવા માટે કૃષિ કાયદો બનાવાવમાં આવ્યો છે.

કોંગ્રેસી સાંસદે વધુમાં જણાવ્યું કે અમેરિકા જેવા દેશમાં દર વર્ષે ખેડૂતોને 62 હજાર ડોલરની સબસિડી મળે છે. તેની સામે ભારતના ખેડૂતો માત્ર એમએસપી માગી રહ્યા છે. તે પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી. સિબ્બલે વધુમાં કહ્યુ કે, બજેટમાં પણ દેશના કેટલાક રાજ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

સિબ્બલે કહ્યું કે, પશ્વિમ બંગાળ, આસામ, તમિલનાડુ જેવા રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. જેથી આવા રાજ્યો માટે બજેટમાં વધુ યોજનાઓની ફાળવણી કરવામાં આવી છે.  એક તરફ આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ પરંતુ આત્મનિર્ભર ભારતમાં ખેડૂતોને આંદોલન કરવા પડે છે.  પીએમ મોદી ખેડૂતોની વાત સાંભળતા નથી અને પોતાની વાત સંભળાવી રહ્યા છે.

Share: