મ્યાંમારમાં સૈન્ય બળવાના વિરોધમાં ઉગ્ર દેખાવો : 12નાં મોત

મ્યાંમારમાં સૈન્ય બળવાના વિરોધમાં ઉગ્ર દેખાવો : 12નાં મોત

યંગૂન, તા. 6 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

મ્યાંમારમાં લશ્કરી બળવાના સામે ભારે વિરોધ ઉઠયો છે. લોકોએ રસ્તા પર ઉતરીને નેતાઓને મુક્ત કરવાની માગણી સાથે પ્રદર્શનો કર્યા હતા. બીજી બાજુ તંગદિલી વચ્ચે આજે કોકાંગ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં 9 નાગરિક સહિત 12 લોકોનાં મોત નિપજ્યા હતા. હિંસાને ડામવા ભારે વિરોધ વચ્ચે આર્મી શાસને મોબાઈલ નેટવર્ક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બ્રોડબેન્ડ સર્વિસ પણ ઠપ થયાની ફરિયાદ ઉઠી હતી.

મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તેનો લોકોમાં ભારો આક્રોશ જોવા મળ્યો હતો. નાગરિકોએ લશ્કરી બળવાનો વિરોધ કરીને ઠેર-ઠેર પ્રદર્શનો કર્યા હતા. એ પહેલાં સોશિયલ મીડિયામાં લશ્કર સામે વિરોધ ઉઠયો હતો. સોશિયલ મીડિયામાં લશ્કરની સામેની ગતિવિિધ વધી પછી આર્મી શાસને મોબાઈલ નેટવર્ક પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

લશ્કરી બળવો થયો તે પછીથી આખાય મ્યાંમારમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટ્રાગ્રામ સ્લો કરી દેવાયું હતું. લંડન સિૃથત એજન્સી નેટ બ્લોક્સ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું કે મ્યાંમારમાં માત્ર 16 ટકા સ્પીડ જોવા મળી હતી.

આટલી ઓછી સ્પીડમાં અપલોડ કરવામાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. આટલી ઝડપમાં ફોટો-વીડિયો અપલોડ થઈ શકે નહીં. મોબાઈલ નેટવર્ક થયા પછી બ્રોડબેન્ડની સર્વિસ પણ ઠપ કરી દેવાઈ હતી. લેન્ડલાઈન ચાલતા ન હોવાની ફરિયાદ ઉઠી હતી.

દેશભરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે સરકારી કચેરી સામે ઉમટી પડયા હતા અને લોકશાહી બચાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનને દબાવી દેવા માટે ચારેબાજુ લશ્કરી જવાનો ગોઠવાઈ ગયા હતા. પાટનગરથી લઈને તમામ શહેરોમાં લશ્કરના ધાડા ઉતર્યા હતા. 

વિદ્યાર્થીઓ ઉપરાંત મજૂરોએ લશ્કરી બળવાના વિરોધમાં સૂત્રોચ્ચ્ચાર કરીને લોકશાહી ઢબે ચૂંટાયેલા શાસક આંગ સાન સૂકીને મુક્ત કરવાની માગણી કરી હતી. ટેક્સી ડ્રાઈવર્સ યુનિયને અનોખા અંદાજમાં પ્રદર્શન કર્યું હતું. રસ્તામાં હોર્ન વગાડીને સૈન્યના જવાનો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ નેતાઓને મુક્ત કરવાની માગણી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે 2015થી આંગ સાન સૂકી મ્યાંમારના શાસક છે. 2020ની ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતિ સાથે સત્તા મળી હતી, પરંતુ લશ્કરના વડાએ આ ચૂંટણીમાં ગરબડ થયાના આરોપો લગાવવાનું ચાલુ રાખીને આખરે આંગ સાન સૂકી સામે લશ્કરી બળવો કર્યો હતો.

મ્યાંમારના 300 સાંસદોએ લશ્કરી શાસનના વિરોધપત્રમાં હસ્તાક્ષર કર્યા

મ્યાંમારના 300 કરતાં વધુ સાંસદોએ લશ્કરી શાસનના વિરોધપત્રમાં હસ્તાક્ષર કર્યા હતા. અહેવાલો પ્રમાણે 300 જેટલાં સાંસદો વીડિયો કોન્ફરન્સથી એકમત થયા હતા. સાંસદોએ કહ્યું હતું કે એ બધા જ લોકશાહી માટે ન્યાયિક લડત આપશે. આ સાંસદોએ કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષના પ્રતિનિિધ તરીકે નહીં, પણ જનતાના ચૂંટાયેલા પ્રતિનિિધ તરીકે લશ્કરી શાસનનો વિરોધ કરે છે અને તેમના મતવિસ્તારમાં આ માટેની લડત ચલાવશે. 300 જેટલાં સાંસદોનું સંયુક્ત નિવેદન નેશનલ લીગ ફોર ડેમોક્રેસીએ ફેસબુકમાં પોસ્ટ કર્યું હતું.

Share: