1 ફેબ્રુઆરીએ ખેડૂતોનો સંસદ સુધી રેલીનો કાર્યક્રમ સ્થગિત, લાલ કિલ્લાની ઘટના ઉપર માફી માંગી

1 ફેબ્રુઆરીએ ખેડૂતોનો સંસદ સુધી રેલીનો કાર્યક્રમ સ્થગિત, લાલ કિલ્લાની ઘટના ઉપર માફી માંગી

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર

પ્રજાસત્તાક દિવસ ઉપર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થેયલી હિંસા બાદ બુધવારે ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. હવે ખેડૂતો એક ફેબ્રુઆરીએ સંસદ સુધી રેલી નહીં કરે. સંયુક્ત કિસાન મોર્ચાના બલબીર સિંહ રાજેવાલએ કહ્યું કે ગઇ કાલે પ્રજાસત્તાક પરેડમાં બે લાખ કરતા પણ વધારે ટ્રેક્ટર આવ્યા હતા અને દુનિયાની નજર તેના પર હતી. સરકારે ષડયંત્ર કરીને અમારી એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંયુક્ત કિસાન મોર્ચાએ દિલ્હીમાં થેયલી હિંસાથી પોતાને અલગ કરી લીધા છે. સાથે જ તેમણે દીપ સિદ્ધુને પણ આરએસએસનો એજન્ટ ગણાવ્યો છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે ખુદ સરકારે જ નક્કી કરેલા રુટ ઉપર બાધા નાંખી અને સરકારે જ અમુક લોકોને લાલ કિલ્લા પર મોકલ્યા હતા. દીપ સિદ્ધુ સરકારના ખાસ છે. 26 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન છોડીને પોલીસ જતા રહ્યા. રાષ્ટ્રીય ધ્વજ હટાવીને કોઇ ધર્મનો ઝંડો લહેરાવ્યો, જેના કારણે અમેરી અને દેશની ભાવના દુભાઇ છે. અમે કોઇ વાંક વગર પણ દેશવાસીઓની માફી માંગીએ છીએ, પરંતુ આંદોલન તો શરુ જ રહેશે.

તેમણે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે 30 જાન્યુઆરીએ દેશભરમાં જનસભાઓ કરવામાં આવશે અને એક દિવસના ઉપવાસ પણ કરાશે. અમે 1 ફેબ્રુઆરીના દિવસે યોજાનાર સંસદ માર્ચનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. હવે આ રેલી ક્યારે યોજાશે તેના વિશે આગળની તારીખ નક્કી કરવામાં આવશે.

Share: