મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદમાં કર્ણાટકના નેતા બોલ્યા : ‘મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દો’

મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદમાં કર્ણાટકના નેતા બોલ્યા : ‘મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દો’

– લક્ષ્મણ સાવડી કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન છે

બેલગામ/ મુંબઇ તા.28 જાન્યુઆરી 2021 ગુરૂવાર

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારનો વિવાદ ફરી જાગી ઊઠ્યો હતો. 

મહારાષ્ટ્ર મરાઠી બહુમતી ધરાવતા કર્ણાટકના જે વિસ્તારને પોતાનો બનાવવાની માગણી કરતી વખતે એેને કેન્દ્રશાસિત કરી દેવાનું કહે છે એની સામે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવડીએ મહાનગર મુંબઇને કેન્દ્ર શાસિત બનાવી દેવાની હાકલ કરી હતી. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટકના વિવાદગ્રસ્ત વિસ્તારને કેન્દ્રશાસિત કરી દેવાની માગણી કરી હતી. એના પ્રત્યાઘાત રૂપે સાવડીએ મુંબઇને કેન્દ્રશાસિત કરી દેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે મુંબઇને કર્ણાટકમાં ભેળવી દેવું જોઇએ એવી માગણી કર્ણાટકમાં થઇ રહી હતી.

ઉદ્ધવે મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદ વિશેના એક પુસ્તકનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે કર્ણાટક વિવાદાસ્પદ વિસ્તારના મરાઠીભાષી લોકો સાથે અન્યાય કરે છે. આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવો જોઇએ. એના જવાબમાં સાવડીએ કહ્યું કે મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઇએ. મુંબઇ લાંબો સમય કર્ણાટકનો એક હિસ્સો રહ્યું હતું. મુંબઇ કર્ણાટકમાં ભેળવી દો અને એ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દો.

હાલ વિવાદાસ્પદ વિસ્તાર અંગે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ઊભો છે. ઉદ્ધવે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જાય ત્યાં સુધી વિવાદગ્રસ્ત વિસ્તારને કેન્દ્રશાસિત જાહેર કરી દેવો જોઇએ. અમે કેન્દ્ર સરકાર સમક્ષ આ અંગે માગણી કરવાના છીએ.

વાસ્તવમાં કર્ણાટકના ઘણા વિસ્તારો પર મહારાષ્ટ્ર વરસોથી દાવો કરી રહ્યું હતું.  આ મુદ્દે બંને રાજ્યો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો અને વચ્ચે હિંસક બનાવો પણ બન્યા હતા. જો કે આવું દેશના બીજાં કેટલાંક રાજ્યો વચ્ચે પણ ચાલી રહ્યું હતું. મોટે ભાગે દરેક રાજ્યના સીમાડાના વિસ્તારમાં આસપાસના બંને રાજ્યોની ભાષા અને રહેણીકરણી અપનાવીને રહેતા લોકો હોય છે. સીમાડે વસતા લોકોમાં બંને રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને વાટકી વ્યવહાર જેવા સંબંધો હોય છે.

Share: