'હેલ્લો પૃથ્વીવાસીઓ…', ચંદ્ર પરથી પ્રજ્ઞાન રોવરે મોકલ્યો ખાસ મેસેજ, ISROએ કર્યું ટ્વિટ

'હેલ્લો પૃથ્વીવાસીઓ…', ચંદ્ર પરથી પ્રજ્ઞાન રોવરે મોકલ્યો ખાસ મેસેજ, ISROએ કર્યું ટ્વિટ

શ્રીહરિકોટા, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

ભારતના ‘ચંદ્રયાન-3’ના વિક્રમ લેન્ડર સાથે ચંદ્રની સપાટી પર જોડી જમાવનાર પ્રજ્ઞાન રોવરે મહત્વનો ડેટા મોકલ્યો છે. પ્રજ્ઞાન રોવરે એક મેસેજ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીવાસીઓને ખબરઅંતર પણ પૂછ્યા છે… રોવરે જણાવ્યું કે, તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેની સ્થિતિ સારી છે… આ સાથે સંદેશમાં એમ પણ કહ્યું કે, ટુંક સમયમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે…

પ્રજ્ઞાન રોવરે શું મેસેજ આપ્યો ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટ પર પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવાયું છે કે, ‘હેલ્લો પૃથ્વીવાસીઓ… હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર છું… આશા કરુ છું કે, તમે બધા સ્વસ્થ હશો… હું તમામને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા મારા રસ્તા પર છું… હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ… અમારી સ્થિતિ સારી છે… સૌથી શ્રેષ્ઠ પરિણામ ટુંક સમયમાં આવશે…’

ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક ચંદ્રયાન-3

એ યાદ રહે કે, એક ચંદ્ર દિવસ પર ચંદ્રયાન-3ની મિશન લાઈફ આંકવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ગત બુધવારે 23મી ઓગસ્ટે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ રીતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લગભગ અડધો દિવસ પસાર કરવાની નજીક છે. આ દરમિયાન ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્રમા અંગે ઘણા મહત્વના ડેટા પ્રાપ્ત કર્યા છે.

Share: