ટ્રેનમાં દિવસમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવી દેવાનો રેલવેનો આદેશ, જાણો સમગ્ર પ્લાન

ટ્રેનમાં દિવસમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવી દેવાનો રેલવેનો આદેશ, જાણો સમગ્ર પ્લાન

નવી દિલ્હી, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

ભારતીય રેલવેએ ટ્રેનમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જનરલ કોચમાં વધતા મુસાફરોની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે ઝોનલ ઓથોરિટીને કહ્યું કે, જનરલ કોચનો બોજ ઘટાડવા મુસાફરોને સ્લીપર કોચમાં પણ જગ્યા આપવામાં આવશે. રેલવે બોર્ડે 21 ઓગસ્ટે આદેશ આપ્યો છે કે, જે ટ્રેનોના સ્લીપર કોચમાં મુસાફરો ઓછા હોય, તેને જનરલ કોચ બનાવી દેવામાં આવે. ખાસ કરીને દિવસમાં દોડતી ટ્રેનોમાં આમ કરવાનો આદેશ અપાયો છે.

રેલવેના નિર્ણયથી આવકમાં થશે વધારો

મીડિયા અહેવાલો મુજબ જે ટ્રેનોના સ્લીપર કોચમાં મુસાફરો ઓછા હશે, તે કોચને જનરલ કોચમાં બદલવાની ભલામણ કરવામાં આવશે. આમ કરવાથી રેલવેની આવકમાં પણ વધારો થશે તેમજ નજીકની મુસાફરી કરનારા મુસાફરોને પણ સુવિધા મળશે… એક રેલવે અધિકારીએ કહ્યું કે, ટ્રેનના જવાના સમય સુધી જનરલ ક્લાસની ટિકિટો જારી કરવામાં આવે છે, તેનો કોઈ સમયગાળો પણ નથી, તેથી જનરલ કોચમાં ભીડ સર્જાય છે.

જનરલ કોચમાં 180થી વધુ મુસાફરોની સફર

તેમણે કહ્યું કે, તમામ કોચમાં સુવિધા મુજબ મુસાફરો બેસાડવાની ક્ષમતા હોય છે, જેમાં ફર્સ્ટ એસીમાં 18થી 23 બર્થ હોય છે… સેકન્ડ એસીમાં 48થી 54, થર્ડ એસીમાં 64થી 72, સ્લીપરમાં 72થી 80 અને જનરલ કોચમાં 90 લોકો મુસાફરી કરી શકે તેવી સુવિધા હોય છે. જોકે જનરલ કોચમાં સામાન્ય રીતે 180થી પણ વધુ મુસાફરો સફર કરતા હોય છે. રેલવે વધુ આવક મેળવવા થ્રી ટ્રાયર એસી કોચની સંખ્યા વધારી હોવાના કારણે પણ જનરલ કોચમાં ભીડ થવાનું એક કારણ હોઈ શકે. રેલવેને જનરલ કોચ કરતા થ્રી ટાયર એસીથી વધુ રેવન્યૂ મળતી હતી.

Share: