સરકારની મોટી જાહેરાત : 7માં ધોરણના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનો પાઠ ભણાવાશે

સરકારની મોટી જાહેરાત : 7માં ધોરણના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનો પાઠ ભણાવાશે
Image – wikipedia

નવી દિલ્હી, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

ભારતના સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પરનો એક પાઠ NCERTના ધોરણ 7 ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઉમેરાયો. આ પાઠ ઉમેરવાનો હેતુ દેશના યુવાઓમાં દેશ પ્રેમ, સમર્પણની ભાવના અને પોતાના કર્તવ્ય પ્રતિ સન્માન વધારવાનો છે. ભારતનો ઈતિહાસ અને આઝાદી બાદની લડત જે વીર શહીદોએ આપી છે તે પણ ભણાવવામાં આવશે.

બાળકોમાં દેશભક્તિ વધારવા મહત્વની પહેલ

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – NCERT દ્વારા આ વર્ષથી ધોરણ-7ના પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પરનો એક પાઠ ‘આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ’ને સામેલ કરાયો છે. સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી છે. આ પહેલનો હેતુ શાળાના બાળકોમાં દેશભક્તિ, ફરજ પ્રત્યેની નિષ્ઠા, હિંમત અને બલિદાનના મૂલ્યો કેળવવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી વધારવાનો છે.

પાઠમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સહિતની બાબતોનો ઉલ્લેખ

આ પ્રકરણમાં આઝાદી બાદ રાષ્ટ્રની સેવામાં સશસ્ત્ર દળોના વીરો દ્વારા અપાયેલા બલિદાન ઉપરાંત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક-NWMનો ઈતિહાસ, તેનું મહત્વ સહિતની માહિતી અપાઈ છે. પ્રકરણમાં ઉલ્લેખ કરાયો છે કે, બે મિત્રો વીરોના કારણે મળેલી સ્વતંત્રતા માટે કૃતજ્ઞતા તથા આભાર વ્યક્ત કરતા પત્રોની આપ-લે કરે છે… એનસીઈઆરટીના લેખકો આ પ્રકરણ દ્વારા બાળકોના મનમાં ઉભી થનારી ઊંડી ભાવનાત્મક અસરો અને જોડાણને સર્જનાત્મક સ્વરૂપે બહાર લાવ્યા છે.

Share: