રાફેલ ડીલ મુદ્દે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટિની તપાસ માટે મોદી કેમ તૈયાર નથી? રાહુલ ગાંધી

રાફેલ ડીલ મુદ્દે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટિની તપાસ માટે મોદી કેમ તૈયાર નથી? રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.4 જુલાઈ 2021,રવિવાર

રાફેલ લડાકુ વિમાનોની ડીલમાં કથિત ભ્રષ્ટાચારના મામલે ફ્રાન્સની કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ ડીલને લઈને ફરી એક વખત પીએમ મોદી પર હુમલા કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની તપાસ માટે પીએમ મોદી કેમ તૈયાર નથી થઈ રહ્યા. તો કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ હતુ કે, જ્યારે પીએમ મોદીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોના ગજવા ભરવાના હોય છે ત્યારે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા એક બાહનુ બની જાય છે. આ પહેલા કોંગ્રેસના નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ પણ રાફેલ ડીલની તપાસ માટે જેપીસીની માંગણી કરી હતી.

દરમિયાન કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યુ હતુ કે, આઝાદી પછીની તમામ કેન્દ્ર સરકારોએ રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર મુદ્દો ગણ્યો છે અને તેનુ રાજકીયકરણ કરવાનુ યોગ્ય સમજ્યુ નથી પણ મોદી સરકારને જ્યારે પોતાના મિત્રોના ગજવા ભરવા હોય છે તો તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના નામે નારાજબાજી કરવા માંડે છે. છેલ્લા ચોવીસ કલાકથી રાફેલ ડીલ મુદ્દે ભાજપ ચૂપ છે. કેન્દ્ર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાફેલ બે દેશો વચ્ચેની ડીલ હતી કે નહીં તે અંગે ફ્રાન્સ દ્વારા તપાસ શરૂ કરાઈ છે પણ ભારત સરકાર એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. આ સરકાર કે જે વાતો કરવા માટે જાણીતી છે પણ રાફેલ ડીલના મુદ્દે પીએમ મોદી, સંરક્ષણ મંત્રી અને મંત્રીમંડળના બીજા સભ્યો ચૂપ છે. જેનો પડઘો આખી દુનિયામાં પડી રહ્યો છે.

ખેડાએ કેટલાક દસ્તાવેજો રજૂ કરીને કહ્યુ હતુ કે, ભારત તરફથી વાટાઘાટો કરનારાઓએ ડીલ માટે નક્કી કરેલી રકમમાં ભારે વધારો કર્યો હતો અને આ મામલાની તપાસ બહુ જરૂરી છે.

Share: