પાકિસ્તાનમાં આવેલા ભારતીય દુતાવાસમાં પણ ડ્રોને દેખા દીધી, ભારતે ઉઠાવ્યો વાંધો

પાકિસ્તાનમાં આવેલા ભારતીય દુતાવાસમાં પણ ડ્રોને દેખા દીધી, ભારતે ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી,તા.2 જુલાઈ 2021,શુક્રવાર

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસની અંદર ડ્રોને દેખા દીધી હોવાના ખબર મળ્યા છે. જોકે ભારત તરફથી આ મામલે પાકિસ્તાન સરકાર સમક્ષ વાંધો પણ ઉઠાવવામાં આવ્યા છે. ભારતે દૂતાવાસની સુરક્ષાનુ ઉલ્લંઘન થયુ હોવાનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જમ્મુના એરબેઝ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો તેના ગણતરીના દિવસોમાં આ ઘટના બની છે.

જમ્મુના ડ્રોન એટેકમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ પાકિસ્તાની પ્રેરીત આતંકી સંગઠનનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે. આ હુમલાના ચાર દિવસ બાદ બુધવારે રાતે પણ ફરી એરબેઝ પર ડ્રોને દેખાયુ હતુ. જેના પર એનએસજી કમાન્ડોએ ફાયરિંગ પણ કર્યુ હતુ. જોકે એ પહેલા ડ્રોન ગાયબ થઈ ગયુ હતુ.

જમ્મુ કાશ્મીર પોલીસનુ કહેવુ છે કે, જે પણ ડ્રોન દેખાયા છે તે બોર્ડરની પેલી તરફથી અથવા તો ભારતીય બોર્ડરની અંદરની તરફથી ઓપરેટ થયા છે. આ પહેલા પણ ડ્રોન વડે હથિયાર પહોંચાડવામાં આવ્યા હોવાના કિસ્સા પણ જમ્મુ કાશ્મીરમાં બની ચુકેલા છે. દરમિયાન કાશ્મીરના નરવાલ વિસ્તારમાંથી પકડાયેલા એક આંતકી નદીમ ઉલ હક પર વાયુસેના સ્ટેશન પર હુમલામાં સામેલ હોવાની આશંકા છે. તેની પાસેથી પાંચ કિલો વિસ્ફોટકો પણ મળ્યા છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ વિસ્ફોટકોનો ઉપયોગ વધુ ડ્રોન એટેક માટે કરવાનો હતો.

Share: