હિંસાની તમામ ઘટનાઓમાં પોલીસ કેસ કરવામાં આવે, મમતા સરકારને હાઈકોર્ટે આપ્યો ઝાટકો

હિંસાની તમામ ઘટનાઓમાં પોલીસ કેસ કરવામાં આવે, મમતા સરકારને હાઈકોર્ટે આપ્યો ઝાટકો

પશ્ચિમ બંગાળ,તા.2 જુલાઈ 2021,શુક્રવાર

બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થઈ રહેલી વણથંભી રાજકીય હિંસાના મામલે કોલકાતા હાઈકોર્ટે મમતા બેનરજીની સરકારને મોટો ઝાટકો આપ્યો છે.

ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને લઈને હાઈકોર્ટે કહ્યુ છે કે, જે પણ હિંસાનો ભોગ બન્યા છે તે તમામની પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવે અને પિડિતોને મદદ કરવામાં આવે. સાથે સાથે રાજ્ય સરકારને પણ હાઈકોર્ટે આદેશ આપીને કહ્યુ છે કે, હિંસામાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરાવવામાં આવે અને જો હિંસાનો ભોગ બનેલા લોકો પાસે રેશન કાર્ડ ના હોય તો પણ તેમને રાશન આપવામાં આવે. હાઈકોર્ટનો ચુકાદો મમતા સરકાર માટે મોટો ઝાટકો છે. કારણકે મમતા બેનરજીની સરકાર રાજ્યમાં હિંસાની ઘટનાઓ બની હોવાનો જ ઈનકાર કરી રહી છે.

હાઈકોર્ટે સાથે સાથે કહ્યુ છે કે, ભાજપના કાર્યકર અભિજિત સરકારની બીજી ઓટોપ્સી કરાશે અને તે કોલકાતાની હોસ્પિટલમાં થશે. આ સિવાય જાદપવપુર કલેક્ટર, એસપી અને પોલીસ અધિકારીઓને પણ કોર્ટે નોટીસ ફટકારીને પૂછ્યુ છે કે, તેમની સામે કેમ કોર્ટના અપમાનની કાર્યવાહી કરવામાં ન આવે.

કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને પણ હિંસાને લગતા જેટલા પણ દસ્તાવેજો છે તે સાચવીને રાખવા માટે તાકીદ કરી છે. સાથે સાથે માનવાધિકાર પંચ દ્વારા હિંસાની તપાસની સમય મર્યાદા પણ કોર્ટે વધારીને 13 જુલાઈ કરી છે.

Share: