દેશમાં કોરોનાના કેસ ફરી 50 હજારને પાર જુલાઇ-ઓગસ્ટમાં બાળકોને રસીની શક્યતા

દેશમાં કોરોનાના કેસ ફરી 50 હજારને પાર જુલાઇ-ઓગસ્ટમાં બાળકોને રસીની શક્યતા


12થી 18 વર્ષના માટેની રસીની ટ્રાયલ પૂર્ણ

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ખતરનાક, ન રોક્યો તો ત્રીજી લહેર આવવાની શક્યતા : ડબલ્યુએચઓની ચેતવણી

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,040 કેસ સામે આવ્યા છે તેથી કુલ કેસોનો આંકડો 3,02,33,183એ પહોંચી ગયો છે, જે સાથે જ વધુ 1258 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક 3.95 લાખને પાર કરી ગયો છે.

એક્ટિવ કેસો પણ 5.86 લાખે આવી ગયા છે. દરમિયાન જુલાઇ-ઓગસ્ટમાં 12થી 18 વર્ષની વયનાને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.  દરમિયાન વિશ્વ આરોગ્ય સંસૃથાએ કોરોના વાઇરસના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસને લઇને ચેતવણી જારી કરી છે. અને કહ્યું હતું કે આ વેરિએન્ટ વધુ ખતરનાક હોવાથી માત્ર કોરોનાની રસી લઇ લેવાથી નહીં ચાલે.

ડબલ્યુએચઓના રશિયાના પ્રતિનિિધ મેલિટા વુજનોવિકે કહ્યું હતું કે ડેલ્ટા વેરિએન્ટમાં માત્ર રસી પુરતી નથી તેથી રસીની સાથે માસ્ક પહેરવુ પણ એટલુ જ જરૂરી છે. જો વહેલી તકે આ વેરિએન્ટને કાબુમાં લેવામાં ન આવ્યો તો ત્રીજી લહેર આવતા વાર નહીં લાગે. હવે બાળકોને પણ રસી આપવાની કામગીરી આગામી મહિનેથી શરૂ કરી દેવામાં આવશે.

દેસી વેક્સીન કંપની ઝાયડસ કેડિલાની રસીની ટ્રાયલ લગભગ પૂર્ણ થઇ ગઇ છે અને આગામી કેટલાક મહિનામાં તેને આપવાનું શરૂ કરાશે. આ રસી જુલાઇના અંત કે ઓગસ્ટ મહિનામાં 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવી શકે છે. હાલ દેશમાં માત્ર 18 વર્ષથી વધુ વયનાને જ રસી આપવામાં આવે છે. હવે 12 વર્ષથી વધુનાને આપવાની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાની રસીને સ્ટોર કરીને રાખવા માટે જેટલા નીચા તાપમાનની જરૂર પડે છે તેની ક્ષમતા ભારતમાં છે. એઇમ્સના વડા ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે બાળકોને રસી આપવાનું શરૂ થશે તો તેનાથી વહેલી તકે સ્કૂલો પણ ખોલવામાં મદદ મળશે. જ્યારે સીરમ ઇન્સ્ટિટયૂટનો દાવો છે કે તેણે કોવિશીલ્ડ રસીના 10 કરોડથી વધુ ડોઝ તૈયાર કર્યા છે.

Share: