દેશમાં કોરોના લહેરને બ્રેક, 24 કલાકમાં નોંધાયા 48,698 કેસ, 5 રાજ્યોની સ્થિતિ ભયજનક

દેશમાં કોરોના લહેરને બ્રેક, 24 કલાકમાં નોંધાયા 48,698 કેસ, 5 રાજ્યોની સ્થિતિ ભયજનક


– કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 511 લોકોના મોત થયા

નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે ખૂબ જ નબળી પડી ગયેલી જણાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા સંક્રમિત નોંધાયા છે. આ દરમિયાન 1,183 દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે જે એક સારા સમાચાર છે. 

છેલ્લા 24 કલાકમાં 64,818 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 6 લાખ કરતા પણ ઓછી થઈ ગઈ છે. હાલ દેશમાં 5.95 લાખ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર અંતર્ગત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 17,303નો ઘટાડો નોંધાયો છે. આ કારણે રિકવરી રેટ સુધર્યો છે અને વધીને 96.72 ટકા થઈ ગયો છે. 

જોકે 5 રાજ્ય એવા પણ છે જ્યાંથી હજુ થોડા ભયજનક આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ ત્યાં પણ સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 11,546 કેસ કેરળમાંથી સામે આવ્યા હતા. બીજા નંબરે મહારાષ્ટ્રમાંથી 9,604 દર્દીઓ સામે આવ્યા છે. ત્રીજા નંબરે તમિલનાડુ (5,755), ચોથા નંબર આંધ્ર પ્રદેશ (4,458) અને પાંચમા નંબરે કર્ણાટક (3,310)નો નંબર આવે છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 511 લોકોના મોત થયા છે જ્યારે તેના પછીના ક્રમે તમિલનાડુમાં 150 લોકોના મોત થયા છે. 

Share: