જમ્મુ કાશ્મીર અંગે વડાપ્રધાનની બેઠક પહેલા રાજ્યમાં 48 કલાકનું એલર્ટ, હાઇ સ્પીડ ઇન્ટરનેટ સસ્પેન્ડ

જમ્મુ કાશ્મીર અંગે વડાપ્રધાનની બેઠક પહેલા રાજ્યમાં 48 કલાકનું એલર્ટ, હાઇ સ્પીડ ઇન્ટરનેટ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 23 જૂન 2021, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજાધાની દિલ્હીની અંદર ગુરુવારે જમ્મુ કાશ્મીરને લઇને એક મહત્વની બેઠક યોજાવાની છે. જેની અંદર જમ્મુ કાશ્મીરના તમામ રાજકિય પક્ષોના નેતાઓ સામેલ થશે.  વડાપ્રધાન મોદીની આ બેઠક પહેલા જ જમ્મુ કાશ્મીર અને એલઓસી પર 48 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પણ કાલ સુધી બંધ કરવામાં આવી શકે છે.

તો બીજી તરફ વડાપ્રધાન સાથે દિલ્હીમાં યોજાનાર બેઠકમાં સામેલ થવા માટે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી શ્રીનગરથી દિલ્હી જવા માટે રવાના થયા છે.  આ સિવાય જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈના અને પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી રવિંદર ગુપ્તા જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠકમાં ભાગ લેવા જમ્મુથી દિલ્હી જવા રવાના થયા છે.

તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ-કાશ્મીરના પક્ષો, નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

આ બેઠક પહેલા મંગળવારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને થઈ. ગુપકાર નેતાઓની આ બેઠક પછી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે અમે વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થઇશું. બેઠક પછી શ્રીનગર અને દિલ્હીમાં મીડિયા સાથે વાત કરવામાં આવશે. અમારો એજન્ડા વિશે બધા જાણે છે અને તે જ રહેશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કુલ 16 નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ અપાયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦, 35A હટાવ્યા પછી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવાની આ કેન્દ્રની સૌથી મોટી પહેલ છે.

Share: