કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ: નાગરિક્તા માટેની અરજી અંગેનાં 28 મેના નોટિફિકેશનનો CAA સાથે કોઈ સંબંધ નથી

કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ: નાગરિક્તા માટેની અરજી અંગેનાં 28 મેના નોટિફિકેશનનો CAA સાથે કોઈ સંબંધ નથી

નવી દિલ્હી, 14 જુન 2021 સોમવાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ગૃહ મંત્રાલયે 28 મેના રોજ નાગરિકત્વ માટેની અરજીઓ મેળવવા સંબંધિત જાહેર કરેલા જાહેરનામામાં નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), 2019 નો કોઈ સંબંધ નથી. આ નોટિફિકેશનને પડકારતી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) દ્વારા કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે આ જવાબ આપ્યો છે. 

ગૃહ મંત્રાલયે 28 મેના રોજ જાહેર કરેલા આ જાહેરનામામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમ લઘુમતીઓને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાના 13 જિલ્લાઓમાં વસતા ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દ્વારા દાખલ કરેલા જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ નોટિફિકેશન હકીકતમાં પસંદગીના કેસોમાં કેન્દ્ર સરકારની સત્તા સ્થાનિક સત્તાને ટ્રાન્સફર કરવાની છે. સરકારે કહ્યું છે કે આ નોટિફિકેશન તમામ વિદેશીઓને રાહત આપવા માટે નહીં પરંતુ કાયદેસર રીતે દેશમાં આવેલા વિદેશી લોકોને માટે છે.

IUML એ પેન્ડિગ સીએએ મામલામાં અરજી દાખલ કરીને 28 મેનાં જાહેરનામાને એ આધારે પડકારી છે કે નાગરિકતા અધિનિયમની જોગવાઈઓ ધર્મના આધારે અરજદારોના વર્ગીકરણને મંજૂરી આપતી નથી. નાગરિક્તા અધિનિયમની કલમ 5 (1) (A) – (G) પાત્ર લોકોને નોંધણી દ્વારા નાગરિકત્વ માટે અરજી કરવાની મંજૂરી આપે છે. જ્યારે અધિનિયમની કલમ, કોઈ પણ વ્યક્તિને (ગેરકાયદેસર સ્થળાંતર સિવાય) પ્રાકૃતિકરણ દ્વારા નાગરિકત્વ માટે અરજી કરવાની મંજૂરી આપે છે.

IUMLએ તેની અરજીમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા બંને જોગવાઈઓને હળવા કરવાના કાર્યકારી આદેશ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર છે. લીગનું કહેવું છે કે આ નોટિફિકેશન બંધારણની કલમ- 14 (સમાનતાનો અધિકાર) નાં માપદંડને પૂર્ણ કરતી નથી, કારણ કે તે ચોક્કસ વર્ગના લોકોને તેમના ધર્મના આધારે નોંધણી અને પ્રાકૃતિકરણ દ્વારા નાગરિકત્વ માટે અરજી કરવાનો અધિકાર આપે છે.

Share: