71 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ : 24 કલાકમાં 84 હજાર કેસ, 4002ના મોત

71 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ : 24 કલાકમાં 84 હજાર કેસ, 4002ના મોત

નવી દિલ્હી, તા. 12 જૂન 2021, શનિવાર

કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઇ રહી છે. સતત પાંચમા દિવસે કોરોના વાયરસના દૈનિક કેસ એક લાખની નીચે નોંધાયા છે. કોરોના વાયરસના ઓછા થઇ રહેલા કેસ વચ્ચે સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે ભય હજુ પણ યથાવત છે. સ્વાસથ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જો કોરોના ગાઇડલાઇનું પાલન ના કરવામાં આવ્યું તો આ આંકડા ફરીથી વધી શકે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 84,332 કેસ નોંધાયા છે. તો સામે 4002 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોનો આંક 2 કરોડ 93 લાખ 59 હજાર 155 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વર્તમાન સમયે કોરોના વાયરસના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2.79 કરોડ કરતા પણ વધારે લોકો કોરોનામાંથી સાજા થયા છે. આ તરફ મહારાષ્ટ્રને પણ કોરોના વાયરસના પ્રકોપમાંથી રાહત મળી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 11,766 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2213 લોકોના મોત થયા છે. 

જો કે આ સંખ્યામાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. ખરેખર છેલ્લા 24 કલાકમાં 406 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 58,57,853 કેસ નોંધાયા છે. જેની સામે 1,06,367 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. પ્રયોગશાળામાં નમુનાની તપાસ અને આંકડોની તપાસ બાદ રાજ્ય સરકારે મોતના આંકડામાં વધારો કર્યો છે. 

આ તરફ રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસના 238 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા ત્રણ મહિનામાં દરરોજ આવતા કેસમાં સૌથા છઆ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે રાજધાનીમાં કોરોનાના કારણે શુક્રવારે 24 લોકોના મોત થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 24,772 લોકોના મોત થયા છે.

Share: