કોરોનાના નવા 94052 કેસ અને 6 હજારના મોત, બિહારના ખુલાસાથી વધ્યો મૃતકઆંક

કોરોનાના નવા 94052 કેસ અને 6 હજારના મોત, બિહારના ખુલાસાથી વધ્યો મૃતકઆંક


– હાલ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,67,952

નવી દિલ્હી, તા. 10 જૂન, 2021, ગુરૂવાર

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ 1 લાખ કરતા ઓછા નોંધાયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાના નવા 94,052 કેસ સામે આવ્યા હતા અને આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. આ તરફ મૃતકઆંકમાં બિહારના કારણે ભારે મોટો ઉછાળો જોવા મળ્યો છે અને એક દિવસમાં મૃતકઆંક 6,148 વધી ગયો હતો. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મૃતકઆંક 3,59,676 થઈ ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,51,367 નવા દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા અને તે સાથે જ સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા વધીને 2,76,55,493 થઈ ગઈ છે. હાલ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,67,952 છે. 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અહેવાલ પ્રમાણે આજે વડાપ્રધાન મોદી ગૃહ મંત્રાલય સાથે રિવ્યુ બેઠક યોજી શકે છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને બંને ગૃહ રાજ્ય મંત્રી પણ સામેલ થશે. તે સિવાય પીએમઓ અને એમએચએના અધિકારીઓ પણ બેઠકમાં જોડાઈ શકે છે. આ બેઠકમાં કોરોનાના થર્ડ વેવનો સામનો કરવાની તૈયારીઓ અંગેની ચર્ચા સંભવ છે. સાથે જ ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. 

બિહારમાં વધ્યો મૃતકઆંક

બિહારના રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે બુધવારે કોરોના વાયરસ સંક્રમણથી મરનારાઓની સંખ્યા મામલે ભારે સંશોધન કર્યું હતું જેથી આ મહામારીના કારણે મરનારાઓની કુલ સંખ્યા વધીને 9,429 થઈ ગઈ હતી જે મંગળવારે 5,458 હતી. રાજ્યમાં બુધવાર સુધીમાં મરનારા 5,478 લોકો ઉપરાંત વેરિફિકેશન બાદના વધારાના 3,951 અન્ય લોકોના મૃત્યુના આંકડા પણ જોડવામાં આવ્યા છે. 

Share: