કોરોનાની બીજી લહેરે ઈકોનોમીને કારમો ફટકો માર્યો છે, કળ વળતા વાર લાગશેઃ નીતિ આયોગ

કોરોનાની બીજી લહેરે ઈકોનોમીને કારમો ફટકો માર્યો છે, કળ વળતા વાર લાગશેઃ નીતિ આયોગ

નવી દિલ્હી,તા.5 જૂન 2021,શનિવાર

કોરોનાની બીજી લહેરે જાન માલની ખુવારી કરવાની સાથે સાથે ઈકોનોમીને પણ તગડો ઝાટકો આપ્યો છે. કોરોનાના કારણે ઉદ્યોગો અને વ્યવસાયો પર અરસ પડી છે અને બે મહિનાથી ઔદ્યોગિક ગતિવિધિઓમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પ્રકારના સંજોગો વચ્ચે નીતિ આયોગે કહ્યુ છે કે, કોરોનાની બીજી લહેરે નિશ્ચિત રીતે ઈકોનોમીને પ્રભાવિત કરી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ હતુ કે, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2021-22ના જીડીપી અનુમાનને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યુ છે. બીજી લહેરના કારણે પહેલા ક્વાર્ટરની ઈકોનોમીને ઝાટકો વાગ્યો છે. જેમાં સુધારો થવાની આશા નથી.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં રાજીવ કુમારે કહ્યુ હતુ કે, જૂન મહિનાથી દેશની ઈકોનોમીનો ગ્રાફ ઉપર તરફ જશે તેવી આશા છે. જોકે તેની ઝડપ જે અપેક્ષા પહેલા હતી તેવી તો નહીં જ હોય પણ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના કારણે લોકો હજી પણ ડરેલા છે. વેક્સિનેશન બાદ લોકોની અંદરનો ડર ખતમ થશે અને કામ ધંધા પર લોકો પાછા ફશે.

આમ છતા કોરોનાની બીજી લહેરમાં જીએસટીના કારણે સરકારી ખજાનામાં આવક થઈ છે. રાજીવ કુમારનુ કહેવુ છે કે, રાજકોષિય ખાધને કોરોનાની લહેર બહુ પ્રભાવિત કરી શકી નથી. જીએસટી કલેકશનના કારણે તેની ભરપાઈ થઈ શકે છે. માર્ચ 2021માં જીએસટી કલેક્શન 26 ટકા વધીને 1.23 લાખ કરોડ રૂપિયા થયુ છે.

Share: