ભારતીય સૈનિકો સામે ચીનના સૈનિકો ડરી ગયા હતા એવુ લખનાર ચાઈનિઝ બ્લોગરને આઠ મહિનાની જેલ

ભારતીય સૈનિકો સામે ચીનના સૈનિકો ડરી ગયા હતા એવુ લખનાર ચાઈનિઝ બ્લોગરને આઠ મહિનાની જેલ

બીજિંગ, તા. 1 જૂન 2021, મંગળવાર

ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષ અંગે ચીનની પોલ ખોલનારા એક બ્લોગર પર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ આકરી કાર્યવાહી કરી છે.

ચીને આ બ્લોગરને જેલમાં પૂરી દીધો છે.ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં ચીનના કેટલા સૈનિકો માર્યા ગયા હતા તેનો સાચો આંકડો હજી સુધી જાણવા મળ્યો નથી.તાજેતરમાં ચીનના બ્લોગર ચાઉ જિમિંગે આ અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના મોતની સંખ્યા અંગે શંકા વ્યક્ત કરી હતી. એ પછી ચીને આ બ્લોગરને શહીદોનુ અપમાન કર્યુ હોવાના આરોપ બદલ દોષી ઠેરવ્યો છે. તેને આઠ મહિનાની જેલની સજા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે થયેલી અથડામણમાં ભારતે અને વિદેશી મીડિયાએ પણ દાવો કર્યો હતો કે, આ અથડામણમાં ચીનના 40 ઉપરાંત સૈનિકો માર્યા ગયા હોઈ શકે છે. જોકે ચીને તે વખતે મગનુ નામ મરી પાડ્યો નહોતુ અને્ મહિનાઓ પછી કબૂલ્યુ હતુ કે, ચીનના ચાર સૈનિકો માર્યા ગયા છે.

દરમિયાન બ્લોગર ચાઉ જિમિંગે બ્લોગમાં લખ્યુ હતુ કે, ચીને માત્ર ચાર સૈનિકોના માર્યા જવાની વાત કરી છે પણ મારુ માનવુ છે કે, આ સંખ્યા ઘણી વધારે છે. ભારતીય સૈનિકોની સામે ચીનના સૈનિકો ડરી ગયા હતા અને મુકાબલો કરવા માટે પણ તૈયાર નહોતા.

ચીનના આ બ્લોગરનુ લખાણ જોત જોતામાં વાયરલ થઈ ગયુ હતુ અને લોકો તેને શેર કરવા માંડ્યા હતા. જેના પગલે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ચોંકી ઉઠી હતી અને તેણે આ બ્લોગને શહીદોનુ અપમાન કરવા સમાન ગણાવ્યો હતો.

દરમિયાન ચીનની સરકારે બ્લોગરને આ નિવેદન બદલ 10 દિવસમાં માફી માંગવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. એ પછી નાનજિંગ પ્રાંતની પોલીસે તેની ધપકડ કરી હતી. ધરપકડ બાદ જાહેર કરાયેલા વિડિયોમાં જિમિંગ માફી માંગતો નજરે પડ્યો હતો. જોકે કોર્ટે તેને આઠ મહિનાની સજા આપી છે.

Share: