મમતા સરકારના મંત્રીઓને રાહત, સ્ટિંગ ઓપરેશનના મામલામાં વચગાળાના જામીન મળ્યા

મમતા સરકારના મંત્રીઓને રાહત, સ્ટિંગ ઓપરેશનના મામલામાં વચગાળાના જામીન મળ્યા

કોલકાતા,તા.28 મે 2021,શુક્રવાર

નારદા સ્ટિંગ કેસમાં મમતા બેનરજી અને તેમના મંત્રીઓને મોટી રાહત મળી છે. કોલકાતા હાઈકોર્ટે બે મંત્રીઓ સહિત ચાર નેતાઓના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં નારદા સ્ટિંગ કેસમાં ટીએમસી સરકારના મંત્રી ફરહાદ હાકિમ, સુબ્રતો બેનરજી અને ધારાસભઅય મદન મિત્રા તથા કોલકાતાના મેયર શોવન ચેટરજીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

17 મેના રોજ સીબીઆઈએ આ ચાર નેતા પર ગોટાળામાં સામેલ હોવાના આરોપ લગાવીને ધરપકડ કરી હતી. જેના વિરોધમાં મમતા બેનરજી રસ્તા પર ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહી છે. આ ચારે નેતાઓને કોર્ટે ઘરમાં નજરકેદ રાખવાનો હુકમ કર્યો હતો. તેની સામે સીબીઆઈ દ્વારા કોર્ટામં અરજી કરવામાં આવી હતી. નારદા સ્ટિંગ ટેપ કેસને રાજ્યમાંથી બીજી લઈ જવા માટે સીબીઆઈ દ્વારા કરાયેલી એક અરજીમાં સીએમ મમતા બેનરજી અને કાયદા મંત્રી મલય ઘટકને પક્ષકાર બનાવાયા હતા.

6 વર્ષ પહેલા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ તે પહેલા એક નારદ નામની ન્યૂઝ ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં આ ચાર નેતાઓ કામ કરાવવા બદલ મોટી રકમ લેતા નજરે પડ્યા હતા. એક કંપનીના પ્રતિનિધિ બનીને ચેનલના પત્રકારે આ સ્ટિંગ ઓપરેશન કર્યુ હતુ.

આ મામલામાં સીબીઆઈ દ્વારા 17 મેના રોજ કાર્યવાહી કરીને ઉપરોક્ત ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને હવે હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.

Share: