ગુજરાતના 36 શહેરોમાં કર્ફ્યૂમાં ઘટાડો થયો, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ

ગુજરાતના 36 શહેરોમાં કર્ફ્યૂમાં ઘટાડો થયો, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ

ગાંધીનગર, તા. 26 મે 2021, બુધવાર

ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રહેશે. આવતીકાલથી નવા નિયમનો અમલ થશે. અગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રી કર્ફયૂનો સમય હતો. વેપાર ધંધા બપોરે 3 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળની બેઠકમાં ‘તોકતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની અને તેની સાથે-સાથે વર્તમાન કર્ફ્યૂને લઇને જાહેરાત કરી છે. 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ‘તોકતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે.

ઉપરાંત વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ઝડપથી શરૂ થઇ ગઇ છે.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં હાલ રાત્રિ કરફયુ તથા અન્ય નિયંત્રણોના સંદર્ભમાં કહ્યું કે, રાજ્ય સરકારે આ રાત્રિ કરફયુનો સમય હવે રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય કર્યો છે. 

Share: