ફરી એક વખત રાહુલ ગાંધીનો PM પર પ્રહાર, કહ્યું- એક તો મહામારી, ઉપરથી પ્રધાન અહંકારી

ફરી એક વખત રાહુલ ગાંધીનો PM પર પ્રહાર, કહ્યું- એક તો મહામારી, ઉપરથી પ્રધાન અહંકારી


– વેક્સિન અભિયાન દરમિયાન વેક્સિનના ઉપલબ્ધ સ્ટોક અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈનનું ધ્યાન ન રાખ્યાનો આરોપ

નવી દિલ્હી, તા. 23 મે, 2021, રવિવાર

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસ પણ મહામારી બનીને ઉભરી આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.40 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 3,741 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે અને સક્રિય કેસની સંખ્યા ઘટીને 84,800 થઈ ગઈ છે. દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન મોદી સામે નિશાન સાધ્યું છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક તો મહામારી અને ઉપરથી પ્રધાન અહંકારી. આ સાથે જ તેમણે ટ્વીટમાં એક આર્ટિકલ પણ શેર કર્યો છે. આ આર્ટિકલમાં સીરમ ઈન્સ્ટિટ્યુટના ઈડી સુરેશ જાધવે સરકાર પર મોટો આરોપ લગાવ્યો હોવાની વાત કહેવામાં આવી છે. 

જાધવે સરકાર પર વેક્સિન અભિયાન દરમિયાન વેક્સિનના ઉપલબ્ધ સ્ટોક અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈનનું ધ્યાન ન રાખ્યાનો આરોપ મુક્યો છે. અગાઉ શનિવારે રાહુલ ગાંધીએ કોરોના મૃતકઆંકને લઈ સરકાર અને વડાપ્રધાન મોદીને ઘેર્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘વેક્સિન નથી. જીડીપી સૌથી નીચલા સ્તરે છે. કોવિડના કારણે સૌથી વધુ મોત થઈ રહ્યા છે. આ અંગે ભારત સરકારનો જવાબ શું છે? વડાપ્રધાન રોઈ પડે છે.’

Share: