'ફ્લાઈંગ શીખ'ના નામથી જાણીતા મિલ્ખા સિંહ પણ કોરોનાથી સંક્રમિત

'ફ્લાઈંગ શીખ'ના નામથી જાણીતા મિલ્ખા સિંહ પણ કોરોનાથી સંક્રમિત

ચંદીગઢ,તા.20 મે 2021,ગુરૂવાર

ફ્લાઈંગ શીખના નામથી જાણીતા એથ્લેટ મિલ્ખા સિંહ પણ કોરોનાથી સંક્રમિત થતા તેમના ચાહકો અને પરિવારજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

મિલ્ખા સિંહે ગયા વર્ષે જ પોતાનો 91મો જન્મ દિવસ ઉજવ્યો હતો.તેમને ગઈકાલે રાતે 101 ડિગ્રી તાવ હતો.તેમનો ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોરોના થયો હોવાનુ બહાર આવ્યુ છે.હાલમાં તેઓ ઘરે જ ક્વોરેન્ટાઈન છે.મિલ્ખા સિંહની સાથે તેમના પરિવારના બીજા સભ્યોનો પણ ટેસ્ટ કરાવાયો છે.જેમાં તેમના બે નોકર પણ સંક્રમિત થયા હોવાનુ જાણવા મળ્યુ છે.જોકે તેમના પત્ની તથા પૌત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પહેલા ગુરુવારે ચંદીગઢમાં વરિષ્ઠ નાટ્ય કલાકાર ગુરુચરણસિંહ ચન્નીનુ કોરોનાથી નિધન થયુ હતુ.તેઓ છેલ્લા 40 વર્ષથી ડ્રામા સાથે સંકળાયેલા હતા.

મિલ્ખા સિંહ પણ ચંદીગઢમાં રહે છે.જ્યાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.કોરોનાના કેસમાં અહીંયા છેલ્લા 10 દિવસમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે.24 કલાકમાં અહીંયા 414 કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત માટે આંતરરાષ્ટ્રિય સ્તરે શાનદાર પ્રદર્શન કરનાર મિલ્ખા સિંહ પર બોલીવૂડમાં ફિલ્મ પણ બની હતી અને તેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહનો રોલ શાનદાર રીતે ભજવ્યો હતો.

Share: