કેન્દ્ર સરકારે મોકલેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, રાજસ્થાન સીએમનો આરોપ

કેન્દ્ર સરકારે મોકલેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, રાજસ્થાન સીએમનો આરોપ

જયપુર,તા.18 મે 2021,મંગળવાર

રાજસ્થાન અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાને લઈને આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી આ જંગ રાજકીય પણ બની રહ્યો છે.

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોટે ફરી આરોપ લગાવ્યો છે કે, પીએમ કેર ફંડમાંથી મળેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી.કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા એન્જિનિયરોની ટીમ પણ તેને રિપેર કરી શકી નથી. આ વેન્ટિલેટરનો ઉપયોગ લોકોના જીવન સાથે ચેડા કરવા જેવુ છે. ખરાબ વેન્ટિલેટર સપ્યાલ કરનારા સપ્લાયરો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, રાજ્ય સરકારે ધારાસભ્યોનુ ફંડ વધારીને 5 કરોડ કરી નાંખ્યુ છે જ્યારે કેન્દ્ર સરકારે સાંસદોનુ રાહત ફંડોળ જ ખતમી કરી નાંખ્યુ છે. જો આ ફંડ ચાલુ હોત તો દરેક સાંસદને પોતાના મત વિસ્તારમાં આરોગ્ય પર ખર્ચ કરવા માટે એક કરોડ રુપિયા મળતા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને મદદ મળતી. રાજ્ય સરકાર લોકોનો જીવ બચાવવા માટે તમામ પ્રકારની મદદ કરી રહી છે. રાજ્યમાં 70 નવા ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવશે.જે આગામી દિવસોમાં ચાલુ પણ થઈ જશે.

ગહેલોટે માંગ કરી હતી કે ,સરકારે વેક્સીનેશન માટે રોડ મેપ તૈયાર કરવો જોઈએ અને તેનાથી ખબર પડી શકશે કે કયા રાજ્યને કેટલીક વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે વેક્સીન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવુ જોઈએ. કેન્દ્ર સરકાર હકારાત્મક સૂચનો પણ સ્વીકારવામાં ખચકાઈ રહી છે.

Share: