કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર

કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર


– રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે

નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર

ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં આવેલા આશરે 4,100 દર્દીઓએ પોતાનો દમ તોડ્યો છે. 

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૃત્યુનો સિલસિલો હજુ પણ વણથંભ્યો જ છે. 

– છેલ્લા 24 કલાકમાં કુલ 2,81,860 નવા કેસ નોંધાયા

– છેલ્લા 24 કલાકમાં 4,092 લોકો મૃત્યુ પામ્યા

– દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,49,64,925

– દેશમાં અત્યાર સુધીમાં 2,11,67,609 લોકો સાજા થયા

– દેશમાં કોરોનાના કારણે કુલ 2,74,411 લોકો મૃત્યુ પામ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. સાથે જ કોરોના સંક્રમણનો દર પણ 16.98 ટકા થઈ ગયો છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 14.66 ટકા છે. કુલ એક્ટિવ કેસ પૈકીના 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાંથી છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. 

Share: