કોરોનાની બીજી લહેર માટે સરકાર – પ્રજાની બેદરકારી જવાબદાર : ભાગવત

કોરોનાની બીજી લહેર માટે સરકાર – પ્રજાની બેદરકારી જવાબદાર : ભાગવત


આ સમય એકબીજા સામે આંગળી ચિંધવાનો કે આરોપો લગાવવાનો નહીં પણ સાથે મળી કામ કરવાનો છે

કોરોનાની પહેલી લહેર પછી ધ્યાન ન આપ્યું એટલે પરિસ્થિતિ વણસી, નિરાશ થયા વગર કોરોના સામે લડી વિશ્વને ઉદાહરણ પુરૂ પાડીએ : સંઘના વડા

નવી દિલ્હી : દેશ હાલ કોરોના મહામારીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં કોરોનાની પ્રથમ લહેર આવી પછી સરકાર અને પ્રજા બેદરકાર બની ગયા જેને કારણે હાલ કોરોનાની બીજી લહેર કેર વર્તાવી રહી છે. સાથે તેમણે બધાને આ મહામારી સામે લડવા માટે એક થવાની અપીલ કરી હતી. 

હમ જીતેંગે પોઝિટિવિટી અનલિમિટેડ અંતર્ગત પાંચ દિવસની વ્યાખ્યાનમાળામાં અંતિમ દિવસે ઓનલાઇન પોતાનું વક્તવ્ય મોહન ભાગવતે આપ્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે કોરોના માનવતા માટે મોટો ખતરો છે. આવી સિૃથતિમાં ભારતે વિશ્વની સામે ઉદાહરણ પુરૂ પાડવાનુ છે અને આ મહામારીને હરાવવા માટે યુદ્ધના સ્તરે કામ કરવુ પડશે. 

ભાગવતે બાદમાં કોરોના મહામારી માટે સરકાર અને પ્રજાની બેદરકારીને પણ જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે આપણે હાલ કોરોનાની વર્તમાન પરિસિૃથતિનો સામનો કરી રહ્યા છીએ કેમ કે જ્યારે પહેલી લહેર આવી હતી તે બાદ સરકાર, જનતા અને પ્રશાસન બધા જ બેદરકાર બની ગયા હતા અને મહત્વના પગલા ન લેવામાં આવ્યા કે જેથી કોરોનાને અટકાવી શકાય. આજ કારણો છે કે જેને પગલે આજે ભારત આ મહામારીમાં ધકેલાયો છે. 

ભાગવતે આગળ કહ્યું કે દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આપણે ડરવાની જરૂર નથી. આપણે પહાડની જેમ તેનો સામનો કરવાનો છે. આ સમય એકબીજાની સામે આંગળી ચીંધવાનો કે આરોપ લગાવવાનો નથી.

બ્રિટન અને બીજા વિશ્વયુદ્ધના સમયની એક ઘટનાને ટાંકતા ભાગવતે કહ્યું હતું કે આ યુદ્ધ સમયે બ્રિટનના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલના ટેબલ પર એક વાક્ય લખેલુ હતું જેમાં લખ્યું હતું કે આ કાર્યાલયમાં કોઇ નિરાશાવાદ નથી. અમને હારની શક્યતાઓમાં કોઇ જ રસ નથી. આ રીતે આપણે પણ નિરાશ નથી થવાનું અને મજબૂત બની કોરોનાને હરાવવાનો છે.

Share: