‘મા’ ગંગાએ બોલાવ્યો છે કહેનારાઓએ જ ‘મા’ ગંગાને રડાવી, રાહુલ ગાંધીએ પીએમ મોદીને આડે હાથ લીધા

‘મા’ ગંગાએ બોલાવ્યો છે કહેનારાઓએ જ ‘મા’ ગંગાને રડાવી, રાહુલ ગાંધીએ પીએમ મોદીને આડે હાથ લીધા

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર

યુપીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાંથી મળી રહેલા મૃતદેહોના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે.

આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, જે વ્યક્તિ એવુ કહેતી હતી કે મને મા ગંગાએ બોલાવ્યો છે તેણે જ આજે મા ગંગાને રડાવી છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે સાથે અખબારના એક અહેવાલને શેર કર્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, ગંગા નદીના કિનારા પર 1140 કિલોમીટરના વિસ્તારમાં 2000થી વધારે મૃતદેહો મળ્યા છે.

રાહુલ ગાંધીએ આ અહેવાલને શેર કરીને પીએમ મોદીનુ જુનુ નિવેદન યાદ દેવડાવ્યુ છે. 2014માં પીએમ બનતા પહેલા નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે કહ્યુ હતુ કે, હું નથી જાતે અહીંયા આવ્યો અને નથી મને કોઈએ મોકલ્યો. મને તો મા ગંગાએ અહીંયા બોલાવ્યો છે.હું અહીંયા આવીને એવી જ લાગણી અનુભવી રહ્યો છું, જેવી કોઈ બાળક પોતાની માતાના ખોળામાં અનુભવે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદી અથવા તો તેના કિનારા પર સેંકડો મૃતદેહો જોવા મળ્યા છે. એવી આશંકા છે કે, આ મૃતદેહો કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોના છે.

સૌથી પહેલા આવો મામલો બિહારમાં જોવા મળ્યો હતો. એ પછી યુપીના સંખ્યાબંધ જિલ્લાઓમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે. એ પછી સરકારે યુપીમાં નદીઓમાં મૃતદેહો વહેવડાવવા પર રોક લગાવી દીધી છે અને ગંગાના કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપ્યો છે.

માત્ર ગંગા જ નહીં પણ હમીરપુર વિસ્તારમાં તો યમુના નદીમાં પણ આવા મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. એ પછી સરકારે તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ મૃતદેહો વહેવડાવવા અંગેની તપાસની માંગણી કરવામાં આવી છે. જ્યારે માનવાધિકાર આયોગે બિહાર અને યુપી પાસે ચાર સપ્તાહમાં આ મામલા પર કાર્યવાહી કરીને રિપોર્ટ માંગ્યો છે.

Share: