કોરોનાનો કહેરઃ નવા 3.43 લાખ કેસ આવ્યા સામે, 3994 દર્દીઓએ તોડ્યો દમ

કોરોનાનો કહેરઃ નવા 3.43 લાખ કેસ આવ્યા સામે, 3994 દર્દીઓએ તોડ્યો દમ


– છેલ્લા 7 દિવસની સરેરાશ દૈનિક 4,000 મૃત્યુની નોંધાઈ 

નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર

દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુમાં કોઈ ઘટાડો નથી નોંધાઈ રહ્યો. દૈનિક સંક્રમણના કેસમાં ભલે ઘટાડો આવ્યો હોય પરંતુ મૃતકઆંક હજુ પણ ઉંચો જ છે. ગુરૂવારે દેશમાં કુલ 3,43,122 નવા કેસ સામે આવ્યા હતા અને 3,994 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના એક દિવસ પહેલા બુધવારે 3,62,720 સંક્રમિતો નોંધાયા હતા અને 4,000થી વધારેના મોત થયા હતા. 

જો કે, છેલ્લા 7 દિવસના આંકડા દૈનિક કેસમાં ઘટાડો આવ્યાનું જણાવે છે. શનિવારે 3.91 લાખ કેસ નોંધાયા હતા જ્યારે ગુરૂવારે 3.43 લાખ કેસ સામે આવ્યા છે. પરંતુ દૈનિક મૃતકઆંક હજુ પણ ઉંચો જ છે. છેલ્લા 7 દિવસની સરેરાશ દૈનિક 4,000 મૃત્યુની નોંધાઈ છે. 

કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કર્ણાટકમાં ગુરૂવારે 35,297 કેસ સામે આવ્યા હતા જ્યારે 5 મેના રોજ તે આંકડો 50,112 સુધી પહોંચી ગયો હતો. એ જ રીતે દિલ્હીમાં 10489, ઉત્તર પ્રદેશમાં 17775, છત્તીસગઢમાં 9121, મધ્ય પ્રદેશમાં 8419, બિહારમાં 7752 અને તેલંગાણામાં 4693 કેસ નોંધાયા હતા.

આ રાજ્યોમાં સૌથી વધારે કેસ

ગુરૂવારે તમિલનાડુમાં 30621 કેસ, બંગાળમાં 20839 કેસ નોંધાયા હતા જે ત્યાંનો અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. એ જ રીતે કેરળમાં 39955, આંધ્ર પ્રદેશમાં 22399, રાજસ્થાનમાં 15867, પંજાબમાં 8494 કેસ સામે આવ્યા હતા. 

Share: