કોરોનાના કેસોની પીક આવશે, વાઈરસ ફરીથી માથું ઊંચકશે : કેન્દ્રની ચેતવણી

કોરોનાના કેસોની પીક આવશે, વાઈરસ ફરીથી માથું ઊંચકશે : કેન્દ્રની ચેતવણી


કોરોનાના નવા 3.62 લાખ કેસ, વધુ 4120નાં મોત

કુલ મૃત્યુઆંક 2.58 લાખને પાર, એક્ટિવ કેસોની સંખ્યા હવે 37 લાખને વટાવી ગઇ : કુલ કેસ 2.37 કરોડને પાર

બિહારમાં લોકડાઉન 25મી મે સુધી લંબાવાયુ, દેશના સૌથી પ્રભાવિત 100 જિલ્લાના મેજિસ્ટ્રેટ સાથે મોદી વાત કરશે

નવી દિલ્હી, તા. 13

ભારતમાં કોરોનાનો કેર હજુ પણ જારી છે. એક-બે દિવસના વિરામ બાદ ગુરૂવારે એક વખત ફરી દેશમાં કોરોનાના નવા 3.62 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 4,120 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 2,58,317ને પાર પહોંચી ગઇ છે.

દેશમાં હવે એક્ટિવ કેસો પણ 37.10 લાખે પહોંચ્યા છે જે કુલ કેસોના 15.65 ટકા છે. દેશમાં હવે કોરોના રીકવરી રેટ ઘટીને 83.26 ટકાએ આવી ગયો છે. અત્યાર સુધીમાં 30.94 કરોડ ટેસ્ટ કરાયા છે. માત્ર એક જ દિવસમાં 18,64,594 સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દરમિયાન સરકારે કહ્યું છે કે કોરોનાના કેસોની ગતીમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ છે.   

નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડો. વી કે પૌલે કહ્યું હતું કે કોરોના વાઇરસ ફરી આવશે અને કેસોમાં પણ મોટો ઉછાળો આવશે, પણ સરકાર આ દરેક પ્રકારની મહામારીનો સામનો કરવા માટે તૈયાર છે. રાજ્યો સાથે સંપર્ક સાથીને કોઇ પણ આફત સામે પહોંચી વળવા સજ્જ છીએ તેવો દાવો પણ તેમણે કર્યો હતો.

બીજી તરફ  મહારાષ્ટ્રમાં કેસોનો ઘટાડો થયો છે, એક સમયે 70 હજાર જેટલા દૈનિક કેસો સામે આવતા હતા તેની સામે હાલ નવા 46 હજાર કેસો નોંધાયા છે. જ્યારે 43,529 કેસો સાથે કેરળ બીજા ક્રમે અને 40 હજાર જેટલા નવા કેસો સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. દેશમાં જે પણ એક્ટિવ કેસો છે તેના 79.67 ટકા માત્ર કર્ણાટકા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ સહિતના 13 રાજ્યોના છે. અનેક રાજ્યોમાં હાલ લોકડાઉનની સિૃથતિ છે. જેમાં બિહારનો પણ સમાવેશ થાય છે. બિહારમાં લોકડાઉનનો સમયગાળો હવે 25મી મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 

રસીની અછતના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે પાંચ મહિનામાં રસીના ડોઝની સંખ્યા 216 કરોડે પહોંચી જશે જે દેશના માન્ય કરાયેલા બધા નાગરિકોને આપવા માટે પુરતા છે. દેશના જે 100 જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસો છે ત્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી મે અને 20મી મેએ વાતચીત કરશે. નવ રાજ્યોમાં આ જિલ્લાઓ આવેલા છે.

પહેલી વખત વડાપ્રધાન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ્સની સાથે કોરોના મહામારી અંગે આ બેઠક યોજાશે. મોદીએ અત્યાર સુધી મુખ્યમંત્રીઓની સાથે ઓનલાઇન બેઠકો યોજી છે. જોકે જિલ્લાઓમાં સૃથાનિક સ્તરે કેવી કામગીરી ચાલી રહી છે તેની જાણકારી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે પણ તેઓ વાતચીત કરવા જઇ રહ્યા છે.

દુનિયામાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓમાંથી દર ત્રીજુ મોત ભારતમાં થઇ રહ્યું છે. ભારતમાં દરરોજ સરેરાશ 3800 લોકોના મોત થઇ રહ્યા છે. જ્યારે પુરી દુનિયામાં સરેરાશ આશરે 12 હજાર મોત થઇ રહ્યા છે. ભારતમાં હાલ કોરોનાના કુલ કેસોની સંખ્યા 2.37 કરોડને પાર પહોંચી ગઇ છે.

Share: