12 વિપક્ષી દળોએ વડાપ્રધાનને પત્ર લખ્યો : મફત રસી, સેન્ટ્રલ વિસ્ટા પર રોક સહિતની 9 માંગ કરી

12 વિપક્ષી દળોએ વડાપ્રધાનને પત્ર લખ્યો : મફત રસી, સેન્ટ્રલ વિસ્ટા પર રોક સહિતની 9 માંગ કરી

કોંગ્રેસ, શિવસેના, ટીએમસી, એનસીપી, આરજેડી સહિતની પાર્ટીઓએ પત્ર લખ્યો

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

દેશમાં કોરોના મહામરીના વિકરાળ સંકટ અને ભાંગી ગયેલા સ્વાસ્થ્ય વ્યવસ્થા વચ્ચે દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. વડાપ્રધાનને આ ખુલ્લો પત્ર 12 વિપક્ષી પાર્ટીઓ દ્વારા લખવામાં આવ્યો છે. 

આ પત્ર પર સોનિયા ગાંધી(INC), એચડી દેવગૌડા(JD-S), શરદ પવાર(NCP), ઉદ્ધવ ઠાકરે(શિવસેના), મમતા બેનરજી(TMC), એમ કે સ્ટાલિન(DMK), હેમંત સોરેન(JMM), ફારુક અબ્દુલ્લા(JKPA), અખિલેશ યાદવ(SP), તેજસ્વી યાદવ (RJD), ડી રાજા(CPI) અને સીતારામ યેચુરી(CPI-M)એ હસ્તાક્ષર કર્યા છે. આ પત્રમાં વિપક્ષ દ્વારા મફત રસીકરણ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને બંધ કરવાની અને તેના પૈસા સ્વાસ્થ્ય સેવા પર લગાવવા અને બેરોજગારોને પ્રતિમાસ 6 હજારની સહાય કરવા જેવી કુલ 9 માંગ કરી છે.

વિપક્ષો દ્વારા કરવામાં આવેલી માંગ

1. દેશમાંથી અથવા તો વિદેશમાં જ્યાંથી શક્ય હોય ત્યાંથી રસી ખરીદવામાં આવે

2. આખા દેશમાં તાત્કાલિક યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ શરુ કરવામાં આવે

3. સ્વદેશી વેક્સિનના નિર્માણ માટે જરુરી લાઇસેસિંગને લાગુ કરવામાં આવે

4. રસી માટે 35 હજાર કરોડ રુપિયાનું બજેટ ફાળવવામાં આવે

5. સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ બંધ કરાવામાં આવે અને તેના માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ઓક્સિજન અને રસી ખરીદવા માટે કરવામાં આવે

6. PM કેર ફંડ અને તમામ પ્રાઇવેટ ફંડમાં જમા તમામ પૈસાને બહાર લાવવામાં આવે અને તેનો ઉપયોગ ઓક્સિજન અને મેડિકલ ઉપકરણ ખરીદવા માટે કરવામાં આવે

7. તમામ બેરોજગારોને 6 હજાર રુપિયા પ્રતિ માસ આપવામાં આવે

8. તમામ જરુરિયાતમંદોને મફતમાં અનાજ આપવામાં આવે

9. કૃષિ કાયદાને પરત લેવામં આવે જેથી માહામારીનો શિકાર થયેલા લાખો અન્નદાતાઓ દેશના લોકોને ખાવા માટે અનાજ ઉગાવી શકે

Share: