ગુજરાતમાં રાત્રિ કરફ્યૂને લઇ મહત્વનો નિર્ણય : 36 શહેરોમાં કરફ્યુ એક સપ્તાહ સુધી લંબાવાયો

ગુજરાતમાં રાત્રિ કરફ્યૂને લઇ મહત્વનો નિર્ણય : 36 શહેરોમાં કરફ્યુ એક સપ્તાહ સુધી લંબાવાયો

– રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી, સખ્ત નિયંત્રણો પણ લદાયા

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર

ગુજરાતમાં 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રાખવામાં આવ્યો છે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યો છે. 12 મેથી વધારીને 18 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ
મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આવશ્યક સેવાઓ ચાલુ
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે, કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ 11 મે સુધી રાખવામાં આવેલો તે 12 મે થી તા.18 મે સુધી એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

Share: