સરકાર વેક્સીન ફોર્મ્યુલા સાર્વજનિક કરે, બીજી કંપનીઓ પણ વેક્સીન બનાવેઃ કેજરીવાલ

સરકાર વેક્સીન ફોર્મ્યુલા સાર્વજનિક કરે, બીજી કંપનીઓ પણ વેક્સીન બનાવેઃ કેજરીવાલ

નવી દિલ્હી,તા.11 મે 2021,મંગળવાર

કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યારે તો વેક્સીન જ એક માત્ર ઉપાય છે તેવુ જાણકારો કહી રહ્યા છે ત્યારે ભારતમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ અભિયાન પણ જોઈએ તેવુ ઝડપથી ચાલી રહ્યુ નથી.

ઘણા રાજ્યો વેક્સીનની અછત અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સીનેશન કાર્યક્રમમાં ઝડપ આવી શકે તે માટે સૂચન કર્યુ છે કે, વેક્સીન બનાવવાનો ફોર્મ્યુલા સાર્વજનિક કરી દેવામાં આવે.જેથી બીજી કંપનીઓ પણ રસી બનાવી શકે અને બજારમાં ઝડપથી વેક્સીન ઉપલબ્ધ થઈ શકે.સરકારે બીજી કંપનીઓને વેક્સીન બનાવવાનો આદેશ આપવો જોઈએ.

કેજરીવાલે કહ્યુ હતુ કે દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે.લોકડાઉન પણ સફળ રહ્યુ છે ત્યારે હવે દિલ્હીમાં આઈસીયુ અને ઓક્સિજન બેડની પણ અછત નથી.હાલમાં રોજ 1.25 લાખ લોકોને વેક્સીન અપાઈ રહી છે.વહેલી તકે રોજ 3 લાખ લોકોને વેક્સીન આપવાનુ શરુ કરાશે.પણ હાલમાં વેક્સીન ડોઝની અછત છે.હાલમાં દેશમાં બે જ કંપનીઓ વેક્સીન બનાવે છે અને તેઓ એક મહિનામાં સાત થી આઠ કરોડ ડોઝનુ પ્રોડક્શન કરે છે.આ ઝડપે તો તમામ લોકોને વેક્સીન આપવામાં બે વર્ષ કરતા વધારે સમય થઈ જશે અને આ દરમિયાન કોરોનાની બીજા વેવ પણ આવી શકે છે.માટે યુધ્ધ સ્તરે વેક્સીનનુ પ્રોડક્શન વધારવાની જરુર છે.દરેક ભારતીયને વેક્સીન ના લગાવાય ત્યાં સુધી આ જંગ જીતી નહીં શકાય.

તેમણે કહ્યુ હતુ કે, વેક્સીનનુ ઉત્પાદન કરવા માટે સંખ્યાબંધ કંપનીઓને કામે લગાડવી જોઈએ.

Share: