આજે સુઓમોટો સુનવણી : હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનું એફિડેવિટ, મેડિકલ સુવિધા, ટેસ્ટ મશીન અને બેડ વધાર્યાનો દાવો

આજે સુઓમોટો સુનવણી : હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનું એફિડેવિટ,  મેડિકલ સુવિધા, ટેસ્ટ મશીન અને બેડ વધાર્યાનો દાવો

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર

રાજ્યમાં કોરોના સ્થિતિ અને લોકોને થઇ રહેલી મુશ્કેલી અંગે હાઇકોર્ટમાં સુઓમોટો સુનવણી ચાલી રહી છે. આજે પણ આ પીઆઇએલ પર ઓનલાઇન સુનવણી થવાની છે. ત્યારે તે પહેલા ગઇકાલે સાંજે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં સરકાર દ્વારા કોરોના અંગેની શું કામગીરી થઇ રહી છે તે જણાવાયું છે. સાથે હાઇકોર્ટે આગલી સુનવણીમાં આપેલા નિર્દેશોના પાલન વિશે જણાવાયું છે.

રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ 56 પેઇજનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં સરકારે વિવિધ દાવા કર્યા છે. મેડિકલમાં સુવિધામાં વધારો, RTPCRના નવા મશીનમાં વધારો કર્યો તથા રેમડેસિવીર ઇંજેક્શન અંગે કહ્યું કે કેન્દ્ર સરકાર એક દિવસ 16 હજાર 115 ઇંજેક્શન આપે છે. અમદાવાદમાં એપ્રિલ મહિના માં 2 લાખ 34 હજાર રેમડીસીવીરની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇંજેક્શન આપ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે.

આ સિવાય ઓફિડેવિટની અંદર અત્યારે 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જેમાં 60 હજાર 176 ઓક્સીજન બેડ છે અને 13 હજાર 875 આઇસીયું અને 6 હજાર 562 વેન્ટિલેટર બેડ છે. ઉપરાંત રાજ્ય સરકારે હોસ્પિટલ ના બેડ માં 1 લાખ 7 હજાર 702 બેડ કર્યો વધારો કર્યાનું જણાવ્યું છે. 

રાજ્ય સરકારે જણાવ્યું કે ગામડામાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સીમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે. સાથએ જ સરકારે આ કાર્યક્રમ હેઠળ 8 હજાર 773 દર્દી ને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો દાવો કર્યો છે. 

Share: