DRDO દ્વારા વિકસિત કોરોનાની દવાને ઇમરજન્સી યુઝની મંજૂરી, વાયરસને મારી ઓક્સિજનની જરુરને ઓછી કરશે

DRDO દ્વારા વિકસિત કોરોનાની દવાને ઇમરજન્સી યુઝની મંજૂરી, વાયરસને મારી ઓક્સિજનની જરુરને ઓછી કરશે

આ દવાથી દર્દીઓને ઓક્સિજનની જરુર પણ ઓછી થશે

નવી દિલ્હી, તા. 8 મે 2021, શનિવાર

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ડીઆરડીઓની કોરોના વિરોધ દવાને મંજૂરી આપી છે. ડીઆરડીઓ વિકસિત કરવામાં આવેલી 2-deoxy-D-glucose (2-DG) નામની દવાને ઇમરજન્સી વપરાશ માટેની મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડો. રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે. આ દવાના મેન્યુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટીઝને સોંપવામાં આવી છે.

આ દવા DRDOની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂકિલિયર મેડિસિન એન્ડ અલાયડ સાઇન્સ (INMAS) અને હૈદરાબાદા સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB) મળીને તૈયાર કરી છે. રક્ષા મંત્રાલયના જણાવયા પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું છે કે 2-જી દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જલ્દીથી સાજા કરવામાં સહાય કરે છે. સાથે જ આ દવાથી દર્દીઓને ઓક્સિજનની જરુર પણ ઓછી થશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ દવા પાવડરના રુપમાં પેકેટની અંદર આવશે. જેને દર્દીઓન પાણીમાં નાંખીને પાવાની રહેશે.

દવા વિકસિત કરનાર ડોક્ટરોએ કહ્યું કે કોઇ પણ ટિશ્યુ કે વાયરસને વિકાસ માટે ગ્લુકોઝની જરુર છે. પરંતુ જો તેને ગ્લુકોઝ ના મળે તો તેના મરવાની શક્યતા વધી જાય છે. જેથી અમે ગ્લુકોઝના એનાલોગ બનાવ્યું છે. વાયરસ તેને ગ્લુકોઝ સમજીને ખાવાના પ્રયત્નો કરશે અને સરવાળે તેનું મોત થાય છે. આ જ સિદ્ધાંત પર આ દવાનો વિકાસ કરવામાં આવ્યો છે.

સાથે જ તેમણે કહ્યું કે આ દવાથી ઓક્સિજનની અછત પણ નહીં થાય. જે દર્દીઓને ઓક્સિજનની જરુર હોય, તેમને આ દવા આપવાથી તેમનો ફાયદો થશે અને વાયરસનું મોત થઇ જશે. તેમણે આગળ જણાવ્યું કે આ દવાના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સારા પરિણામ આવ્યા છે, ત્યારબાદ તેને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી છે. 

આ દવાને દરેક પ્રકારના દર્દીઓને આપવામાં આવશે. હળવા લક્ષણવાળા દર્દીઓને અને ગંભીર દર્દીઓને પણ આ દવા આપી શકાશે. બાળકોની સારવાર પણ આ દવા વડે થઇ શકશે. જો કે બાળકો માટે તેનો ડોઝ અલગ હશે.

Share: