કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરશો? SCએ સરકારને પુછ્યો ઈમરજન્સી પ્લાન

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરશો? SCએ સરકારને પુછ્યો ઈમરજન્સી પ્લાન


– એક્ઝામની તૈયારી કરી રહેલા 1.5 લાખ ડોક્ટર્સ, ઘરે બેઠેલા 2.5 લાખ નર્સ ત્રીજી લહેર વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે

નવી દિલ્હી, તા. 6 મે, 2021, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે ફરી એક વખત દિલ્હીના ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સર્વોચ્ય અદાલતે કોરોનાની ત્રીજી લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી જ તે માટે તૈયારીઓ કરવા પર ભાર મુક્યો હતો. 

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતા કહ્યું કે, જો કાલે સ્થિતિ વધુ બગડે અને કોરોનાના કેસ વધે તો તમે શું કરશો. રિપોર્ટ્સ પ્રમાણે ત્રીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ત્રીજી લહેરમાં શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારે જ કરવી પડશે, યુવાનોને વેક્સિન આપવી પડશે, જો બાળકો પર અસર વધશે તો કઈ રીતે સંભાળીશું કારણ કે બાળકો તો એકલા હોસ્પિટલ ન જઈ શકે. 

ડૉક્ટર્સ માટે પણ તૈયારી કરવી પડશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે આશરે 1.5 લાખ એવા ડોક્ટર્સ છે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આશરે 2.5 લાખ નર્સ ઘરે બેઠી છે. આ એ જ લોકો છે જે ત્રીજી લહેર વખતે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. માર્ચ 2020થી સ્વાસ્થ્ય કર્મીઓ કામ કરી રહ્યા છે અને હાલ તેમના પર પણ થાક અને દબાણ વધારે છે. 

દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ત્રીજી લહેર અંગે ટિપ્પણી કરી છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે પણ ત્રીજી લહેર ચોક્કસ આવશે તેવી ચેતવણી આપી હતી પરંતુ તે ક્યારે આવશે તે અનિશ્ચિત છે તેમ કહ્યું હતું. 

Share: