'સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, હવે જન કી બાત કરો' PM મોદી પર રાહુલ ગાંધીનો જોરદાર પ્રહાર

'સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, હવે જન કી બાત કરો' PM મોદી પર રાહુલ ગાંધીનો જોરદાર પ્રહાર


– દેશવાસીઓનું દુખ દૂર કરવું તે જ કોંગ્રેસ પરિવારનો ધર્મઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2021, રવિવાર

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના સંક્રમણના કારણે લોકો બેહાલ અને લાચાર જોવા મળી રહ્યા છે. સંકટના આ સમયમાં રાજકીય પક્ષો વિપક્ષ પર હુમલો કરવાની તક શોધી રહ્યા છે અને સાથે જ લોકોની મદદ માટે પણ આગળ આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસીઓને તમામ રાજકીય કામો છોડીને લોકોની મદદ કરવા વિનંતી કરી છે. તેમણે ટ્વીટરના માધ્યમથી કોંગ્રેસી કાર્યકરોને આ પ્રકારની વિનંતી કરી હતી. 

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સિસ્ટમ ફેલ ગઈ છે એટલે આ જનહિતની વાત કરવી જરૂરી છે. આ સંકટ સમયે દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. મારા કોંગ્રેસી સાથીદારોને હું વિનંતી કરૂ છું કે, તમામ રાજકીય કામો છોડીને ફક્ત જન સહાયતા કરો, બને તેટલી રીતે દેશવાસીઓનું દુખ દૂર કરો. કોંગ્રેસ પરિવારનો આ જ ધર્મ છે.’

રાહુલ ગાંધી હંમેશા ટ્વીટરના માધ્યમથી કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરતા હોય છે. તાજેતરમાં જ તેમણે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાને બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. 

Share: