રાજ્યના આરોગ્ય કમિશ્નરે તમામ બોન્ડેડ તબીબોને આવતીકાલથી ફરજ પર હાજર થવા આદેશ કર્યો

રાજ્યના આરોગ્ય કમિશ્નરે તમામ બોન્ડેડ તબીબોને આવતીકાલથી ફરજ પર હાજર થવા આદેશ કર્યો

અમદાવાદ, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મોતનો આંકડો પણ દિવસ દિવસે વધી રહ્યો છે. સ્થિતિ કાબૂથી બહાર છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી અને મેડિકલ સ્ટાફની પણ અછત છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને સામે તબીબી સ્ટાફ એટલો જ છે. ત્યારે સરકારે મનાવબળ વઘારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.

જયપ્રકાશ શિવહરેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૫૧૩, રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોના ૧૩૬ તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ૫૯૩ ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ-૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલાં આદેશ પ્રમાણે અત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે મેનપાવરની અછત છે અને રાજ્યમાં તાત્કાલિક તબીબોની જરુર છે. જેથી આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યમાં ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા સરકાર વિવિધ નિર્ણયો લઇ રહી છે.

આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26-04-2021 સુધીમાં તેમની નિમણૂંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

Share: