જલ્દી જ આવશે ઓક્સિજનની તંગીનો અંત, સાઉદીથી ભારત આવી રહ્યો છે 80 મેટ્રિક ટન ઓક્સિજન

જલ્દી જ આવશે ઓક્સિજનની તંગીનો અંત, સાઉદીથી ભારત આવી રહ્યો છે 80 મેટ્રિક ટન ઓક્સિજન


– અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પોતે જ ટ્વીટ કરીને શિપમેન્ટની જાણકારી આપી

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર

કોરોનાની નવી લહેરે ભારતને સૌથી વધારે પ્રભાવિત કર્યું છે અને ભારતમાં દરરોજ સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મહામારીના આ સમય દરમિયાન લિક્વિડ ઓક્સિજનની તંગીએ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ઓક્સિજનની તંગીના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેન્દ્ર સરકારે ઓક્સિજનની તંગી દૂર કરવા અન્ય દેશોમાંથી તેને આયાત કરવાનો નિર્ણય લીધો છે અને તેમાં સાઉદી અરેબિયાએ મોટી મદદ કરી છે. સાઉદી અરેબિયા ભારતને 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરી રહ્યું છે. અદાણી સમૂહ અને લિંડે કંપનીના સહયોગથી 80 મેટ્રિક ટન ઓક્સિજન કન્ટેનર દ્વારા શિપમેન્ટ થઈ રહ્યો છે. સાઉદી અરેબિયાની આ મદદને અનુસંધાને રિયાધ ખાતેના ભારતીય મિશને ટ્વીટ કરીને સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયનો આભાર માન્યો હતો. 

80 ટન લિક્વિડ ઓક્સિજન સાથેની 4 આઈએસઓ ક્રાયોજેનિક ટેન્કની પહેલી શિપમેન્ટ સમુદ્રી રસ્તે જલ્દી જ ભારત પહોંચશે. તેનાથી ભારતમાં ઓક્સિજન સંકટનો અંત આવશે તેવી શક્યતા છે. અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પોતે જ ટ્વીટ કરીને શિપમેન્ટની જાણકારી આપી હતી. 

Share: