પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહની હાલત સ્થિર, ડો.હર્ષવર્ધને AIIMSમાં જઈ ડોક્ટરો સાથે કરી મુલાકાત

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહની હાલત સ્થિર, ડો.હર્ષવર્ધને AIIMSમાં જઈ ડોક્ટરો સાથે કરી મુલાકાત

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2021, મંગળવાર

પૂર્વ પીએમ મનમોહનસિંહ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા છે.

આજે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જાતે એમ્સ જઈને પૂર્વ પીએમને અપાઈ રહેલી સારવારની જાણકારી પ્રાપ્ત કરી હતી. ડોકટરોની ટીમ સાથે તેમણે મનમોહનસિંહના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરી હતી. એ પછી ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, હવે પૂર્વ પીએમની હાલત સ્થીર છે અને તેમને હોસ્પિટલમાં શક્ય હોય તેટલી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેમની સારવારમાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. અમે તમામ લોકો તેમના જલ્દીથી સારા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે ડો.મનમોહન સિંહને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે ,તેમણે કોરોનાની રસી મુકાવેલી છે અને એટલે આશા રખાઈ રહી છે કે તેઓ બહુ જલ્દી કોરોનાને પરાસ્ત કરશે. સૂત્રોનુ કહેવુ છે કે , તેમને હળવો તાવ છે. તેમને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાનુ તબીબી તપાસમાં પણ બહાર આવ્યુ છે.

ગયા વર્ષે પણ નવી દવાના કારણે ડો.સિંહને રિએક્શન આવ્યુ હતુ અને તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા. જોકે એપછી તેમને રજા અપાઈ હતી. તેમને કોરોના થયો તેના એક દિવસ પહેલા જ ડો.સિંહે પીએમ મોદીને એક પત્ર લખીને તેમને કોરોના સામેના જંગમાં પાંચ સલાહો પર અમલ કરવાનુ કહ્યુ હતુ.

Share: