કોરોનાના વધતા કેસોની જવાબદારી સ્વીકારી વડાપ્રધાન રાજીનામું આપે ઃ મમતા

કોરોનાના વધતા કેસોની જવાબદારી સ્વીકારી વડાપ્રધાન રાજીનામું આપે ઃ મમતા

(પીટીઆઇ) કોલકાતા, તા. ૧૮પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમણે રાજીનામું આપી દેવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું છે કે મોદી મેડીકલ ઇમરજન્સીનો સામનો કરવા જરૃરી આયોજન કરવામાં પણ નિષ્ફળ પુરવાર થયા છે. રાજ્યોને મેડિકલ ઓક્સિજન અને વેક્સીનનો પુરવઠો પહોંચાડવામાં કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કોઇ પ્રયત્નો કરવામાં આવ્યા નથી. દેશના મોટા ભાગના રાજ્યો ઓક્સિજન અને વેક્સીનની અછતનો સામનો કરી રહ્યાં છે. મમતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન પાસે કોરોનાને કારણે ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવાનું આયોજન કરવા માટે પૂરતો સમય હતો. સપ્ટેમ્બરમાં કોરોનાના કેસો ઘટી ગયા પછી માર્ચમાં ફરીથી કેસો વધવાનું શરૃ થયું છે. દેશમાં કોરોના વેક્સીનની અછત છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબિ સુધારવા માટે વેક્સિનની નિકાસ કરી હતી. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઇએ. વર્તમાન સ્થિતિ માટે વડાપ્રધાન જવાબદાર છે. તેમણે મેડીકલ ઇમરજન્સીનું આગોતરું આયોજન કર્યુ ન હતું. ભાજપ ગુજરાતમાં પણ કોરોનાની બેકાબૂ સ્થિતિને નિયંત્રણમાં લઇ શક્યુ નથી. મમતાએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકારે વડાપ્રધાન પાસે ૫.૪ કરોડ વેક્સિનની માગ કરી હતી. મમતાના જણાવ્યા અનુસાર આ જથ્થો હજુ સુધી અમને મળ્યો નથી. સમગ્ર દેશમાં ઓક્સિજન અને એન્ટિ વાયરલ ડ્રગ રેમડેસિવિરની ભારે અછત વર્તાઇ રહી છે. આ માટે કોણ જવાબદાર છે. મહારાષ્ટ્રમાં પણ આ બંને વસ્તુઓની ભારે અછત છે. વડાપ્રધાન મોદી આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પશ્ચિમ બંગાળમ્ ચૂંટણી રેલીઓમાં ભાગ લઇ રહ્યાં છે. મોદી પર કોરોનાની વેક્સિનની ૮૦ દેશોમાં નિકાસ કરવાનો આરોપ મૂકતા મમતાએ જણાવ્યું હતું કે તમે વિશ્વના અન્ય દેશોને મદદ કરો તેમાં અમને વાંધો નથી પણ પ્રથમ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બંગાળ અને દેશના અન્ય રાજ્યોને આપો.

Share: