કોરોનાની કપરી સ્થિતિમાં લોકોને રાહત, રાજ્ય સરકારે મા કાર્ડની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો

કોરોનાની કપરી સ્થિતિમાં લોકોને રાહત, રાજ્ય સરકારે મા કાર્ડની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો

અમદાવાદ, તા. 19 એપ્રિલ 2021, સોમવાર

રાજ્યમાં અત્યારે કોરોના વાયરસ માતેલા સાંઢની માફક આગળ વધી રહયો છે. જેના કારણે ચોતરફ હાહાકાર મચ્યો છે. દરરોજ રેકોર્ડ સંખ્યામાં નવા કેસ અને મૃત્યુ થઇ રહ્યા છે. તમામ હોસ્પિટલો ફૂલ છે, ઓક્સિજનની અછત છે, દવાઓ મળતી નથી અને ત્યાં સુધી કે છેલ્લે સ્મશાનમાં પણ લાંબુ વેઇટિંગ છે. રાજ્યની આવી ભયનક પરિસ્થિતિ વચ્ચે હાઇકોર્ટે કરેલ સુઓમોટો પિટીશનની સુનવણી દરમિયાન રાજ્ય સરકાર સોગંધનામુ આપ્યું હતું. 15 એપ્રિલે આપેલા એ સોગંધનામાની અંદર સરકારે જણાવ્યું હતું કે માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના લોકો અત્યારે કપરા સમયમંથી પસાર થઇ રહ્યા છે. કોરોનાના કારણે દરરોજનો મૃત્યુઆંક 100ને પાર ગયો છે. આવી સ્થિતિ વચ્ચે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મા કાર્ડને લઇને અન્ય એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી આવા કપરા સમયમાં સામાન્ય લોકોને ઘણી રાહત થશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને આ વિશે જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે ‘જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની સર્વેએ નોંધ લેવી.’

સરકારના આ નિર્ણયથી કોરોનાગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનોને રાહત મળશે. જેમના મા કાર્ડની મુદત પુરી થઇ છે, તેઓ પણ હવે કોરોનાની હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ વધુ ખર્ચની ચિંતા કર્યા વિના મફતમાં સારી સારવાર કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. 

Share: