દેશમાં કોરોના કેસની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો, 1.85 લાખથી વધુ નવા કેસ, 24 કલાકમાં 1,000થી વધુના મોત

દેશમાં કોરોના કેસની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો, 1.85 લાખથી વધુ નવા કેસ, 24 કલાકમાં 1,000થી વધુના મોત


– કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જે ચિંતાજનક વાત

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ, 2021, બુધવાર

ભારતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે અને કેસની સંખ્યાની સાથે જ મૃતકઆંક પણ ઉંચો જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ સમાન 1.85 લાખથી પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ દેશમાં કોરોનાના 1.5 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. 

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.85 લાખથી પણ વધારે કેસ નોંધાયા તેથી દેશમાં સંક્રમિતોનો આંકડો 1.38 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે 1,000થી પણ વધારે લોકોના મોત સાથે કુલ મૃતકઆંક 1,72,115 થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓનો ગ્રાફ ઝડપથી ઉંચો જઈ રહ્યો છે. કોરોના સંકટને કાબૂમાં લેવા માટે મહારાષ્ટ્રમાં ‘બ્રેક ધ ચેઈન’ અભિયાન અંતર્ગત 15 દિવસ સુધી કલમ 144 લાગુ રહેશે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા માટે જ ઘરેથી બહાર નીકળી શકાશે. 

Share: